Gandhinagar News : અમદાવાદના વિકાસ માટે રાજ્યમા મુખ્યમંત્રી દ્વારા અમદાવાને ભેટ અપાઈ, ખારીકટ કેનાલ માટે 1 હજાર કરોડથી વધુની રકમ ફાળવવામાં આવી. રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરપાલિકાને ખારીકટ કેનાલ રીડેવલપમેન્ટ ફેઝ-2ની કામગીરી માટે અંદાજે 1003 કરોડ રૂપિયાના કામો માટે મંજૂરી આપી છે.
ખારીકટ કેનાલ રીડેવલપમેન્ટના આ ફેઝ-2 અંતર્ગત સ્ટ્રેચ-2માં SP રીંગ રોડ થી નરોડા સ્મશાન ગૃહ, સ્ટ્રેચ-2માં વિંઝોલ વહેળાથી ઘોડાસર (આવકાર હોલ), સ્ટ્રેચ-3 અન્વયે ઘોડાસર (આવકાર હોલ)થી વટવા ગામ અને સ્ટ્રેચ-4 તથા 5માં વટવા ગામથી SP રીંગ રોડ સુધીની હયાત કેનાલને રીડેવલપ કરવાની કામગીરી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવશે. તદ્દનુસાર, આર.સી.સી. સ્ટોર્મ વોટર બોક્સ સ્ટ્રક્ચર, રોડ, ફૂટપાથ ડેવલોપમેન્ટ, રિટેઈનિંગ વોલ, વોટર સપ્લાય પાઇપલાઇન, ઇરીગેશન સ્ટ્રક્ચર, સ્ટોર્મ વોટર એક્સટેન્શન, સિવર સિસ્ટમ વગેરે કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અમદાવાદ મહાનગરપાલિકા હદ વિસ્તારમાંથી પસાર થતી સિંચાઈ વિભાગ દ્વારા નિર્મિત ખારીકટ કેનાલની કુલ લંબાઈમાંથી ફેઝ-1માં સમાવિષ્ટ કામો બાદ બાકી રહેતી લંબાઇમાં SP રીંગ રોડથી મુઠીયા ગામ થઈને નરોડા સ્મશાન ગૃહ સુધી તથા વિંઝોલ વહેળાથી ઘોડાસર આવકાર હોલ થઈ વટવા થઈને SP રીંગ રોડ સુધીની હયાત ખારીકટ કેનાલ હાલ ખુલ્લામાં છે. એટલું જ નહીં, સમયાંતરે અમદાવાદ શહેરનો વ્યાપ વધતા કેનાલની બન્ને તરફ થયેલા વિકાસને કારણે કેનાલ બેડમાં ઘન કચરાનું મિશ્રણ થતાં કેનાલનું પાણી પ્રદૂષિત થવાને લીધે જાહેર આરોગ્યને પણ હાની પહોંચવાની સમસ્યા રહે છે. આ ઉપરાંત ખારીકટ કેનાલની બન્ને તરફના ટી.પી. વિસ્તારોને કનેક્ટિવિટીના પ્રશ્નો પણ ઊભા થતાં હોય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ સમસ્યાઓના ત્વરિત અને સુચારુ નિરાકરણ માટે ખારીકટ કેનાલ ડેવલોપમેન્ટની કામગીરી અમદાવાદ મહાનગરપાલિકાને સોંપવામાં આવેલી છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ ખારીકટ કેનાલની કુલ લંબાઈ પૈકી પ્રથમ તબક્કા ફેઝ-1માં નરોડા સ્મશાનથી વિંઝોલ વહેળા સુધીની 12.75 કિલોમીટરની લંબાઈમાં કેનાલ ડેલવલપમેન્ટની કામગીરી અન્વયે 80 % કામ પૂર્ણ થયુ છે. આ હેતુસર ફેઝ-1 માટે ફાળવવામાં આવેલા 1338 કરોડ રૂપિયામાંથી અત્યાર સુધીમાં રૂ. 700 કરોડથી વધુનો ખર્ચ થયો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવે, આ ખારીકટ કેનાલની ફેઝ-1 સિવાયની બાકી રહેતી લંબાઇમાં ફેઝ-1 અંતર્ગત વિવિધ 5 સ્ટ્રેચમાં હયાત કેનાલને રીડેવલપ કરવાની કામગીરીને મંજૂરી આપી છે. આ હેતુસર ફેઝ-2 અંતર્ગતના કામોની સંપૂર્ણ રકમ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મંજૂર કરવામાં આવી છે.
આ પણ વાંચો:જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીનો મામલે રાજકોટમાં ફરિયાદ માટે અરજી
આ પણ વાંચો:રાજકોટમાં પોપ્યુલર સ્કૂલમાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનો આક્ષેપ!
આ પણ વાંચો:રાજકોટમાં ભાજપના મહિલા કાઉન્સિલરને ગોળી વાગતાં હાલ સારવાર હેઠળ
