Ahmedabad News: ગુજરાત હાઈકોર્ટે (Gujarat Highcourt) પત્ની તરફથી કોઈ લેખિત અરજી કે પુરાવાનાં મૂલ્યાંકન વિના પત્નીને ભરણપોષણ (Maintenance) તરીકે રૂપિયા 70 લાખ ચુકવવાના ફેમિલી કોર્ટ (Family Court)ના આદેશને રદ કરતો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટના બે જજોની અધ્યક્ષતાવાળી બેંચે ફેમિલી કોર્ટના આદેશને પડકારતી અરજીને મંજૂરી આપી હતી.
ગુજરાત હાઈકોર્ટે પત્ની તરફથી કોઈ લેખિત અરજી કે પુરાવાના મૂલ્યાંકન વિના પત્નીને કાયમી ભરણપોષણ તરીકે રૂપિયા 70 લાખ ચૂકવવાના ફેમિલી કોર્ટ (Family Court)ના આદેશને રદબાતલ જાહેર કર્યો હતો. કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ બિરેન વૈષ્ણવ અને ન્યાયાધીશ હેમંત એમ. પ્રચ્છકની બેન્ચે ફેમિલી કોર્ટના આદેશને પડકારતી પતિની અપીલને મંજૂરી આપતા આ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો. હાઈકોર્ટે પુરાવાઓનું મૂલ્યાંકન કરવા અને કાયદા મુજબ નિર્ણય લેવા માટે કેસ વડોદરા ફેમિલી કોર્ટ (Family Court)માં ટ્રાન્સફર કર્યો હતો અને 3 મહિનાની અંદર ચુકાદો આપવાનો આદેશ આપ્યો હતો.
હાઈકોર્ટની બેંચે સ્પષ્ટ રીતે કહ્યું કે હિંદુ લગ્ન કાયદાની કલમ 25 હેઠળ કાયમી ભરણપોષણ (Maintenance) ની અરજી જે તે વ્યક્તિ કરી શકે છે. કેસની વિગતો મુજબ, પત્ની દ્વારા ન તો લેખિત અરજી આપવામાં આવી હતી કે ન તો કોઈ મૌખિક રીતે વિનંતી કરવામાં આવી હતી. પત્ની વતી નાણાકીય રાહત માટે કોઈ ચોક્કસ દાવો કરવામાં આવ્યો ન હતો. ફેમિલી કોર્ટે સંબંધિત મુદ્દાઓ ઘડ્યા વિના અથવા પુરાવાઓનું મૂલ્યાંકન કર્યા વિના કાયમી ભરણપોષણની રકમ નક્કી ન કરી શકે.
માહિતી અનુસાર, દંપતના લગ્ન 2002 માં થયા હતા બાદમાં પતિ 2005 માં અમેરિકા જતો રહ્યો હતો. વર્ષ 2012માં પતિની આવક 1.15 લાખ ડોલર સુધી પહોંચી ગઈ હતી. સમયાંતરે લગ્નજીવનમાં સતત મતભેદ રહેતા 2019માં કેસ છુટાછેડા સુધી પહોંચી ગયો હતો, ત્યારે ફેમિલી કોર્ટે (Family Court) રૂપિયા 70 લાખ ભરણપોષણ ચુકવવાનો આદેશ કર્યો હતો.
ક્રિમીનલ પ્રોસિજર કોડની કલમ-125 થી 128 મુજબ ભરણપોષણ માંગનાર અને જેની પાસે માંગવામાં આવે છે તેમના વચ્ચેનો સંબંધ પતિ-પત્ની, પિતા-પુત્ર, પિતા-પુત્રી, માતા-પુત્ર, માતા-પુત્રી અથવા માતા-પિતા અને સંતાનોનો હોવો જોઈએ. આ સિવાય બીજી કોઈપણ વ્યક્તિ આ ભરણપોષણ (Maintenance) માંગી શક્તી નથી. ભરણપોષણ ત્યારે જ માંગી શકાય જ્યારે ભરણપોષણ માંગનારની ઉપેક્ષા થઈ હોવી જોઈએ, જેથી ભરણપોષણ કરવાની જવાબદારી હોય તેણે પોતાની જવાબદારી નિભાવવામાં ઉપેક્ષા અથવા બેદરકારી કરી હોવી જોઈએ. જવાબદારી પ્રત્યે બેદરકારીનો પ્રકાર છે અને આવી ઉપેક્ષા અને બેદરકારી સામાવાળાના વર્તન ઉપરથી સાબિત કરી શકાય.
ભરણપોષણ (Maintenance) માંગનાર પોતાનું જીવન નિર્વાહ કરવામાં અસમર્થ હોવો અને તેની સ્થિતિ આશ્રિત જેવી હોવી જોઈએ. આવી વ્યક્તિઓમાં મુખ્યત્વે આશ્રિત પત્ની, બાળકો અને વૃદ્ધ માતા-પિતાનો સમાવેશ થાય છે. ભરણપોષણ જેની પાસે, માંગ્યુ હોય તેની પાસે તેના માટે પૂરતા સાધનો હોવા જોઈએ. જેમાં નોકરી, ધંધો વ્યવસાય અથવા મિલકતની આવક સમાવેશ થાય છે. આવકના પૂરતા સાધન નથી તેવું સાબિત કરવાનો બોજો સામાવાળા ઉપર હોય છે. તંદુરસ્ત શરીરવાળી વ્યક્તિની કોઈ આવક ન હોય તો પણ તેની વિરુદ્ધ ભરણપોષણનો હુકમ થઈ શકે છે. કાયદાકીય રીતે આવી વ્યક્તિ નાદાર થાય તો પણ ભરણપોષણની જવાબદારીમાંથી છટકી શક્તી નથી. અસહ્ય દેવું થયેલ છે તો તે તેવો બચાવ પણ કરી શક્તો નથી. સગીર પતિ અથવા સંસાર ત્યાગી સાધુ થયેલ વ્યક્તિ આવી જવાબદારીમાંથી છટકી શકતો નથી.
ભરણપોષણ (Maintenance) ની અરજી દાખલ કર્યા પછી ઘણો સમય કાર્યવાહીમાં રહે છે તેથી આ કાયદામાં સુધારો આવ્યો. આ સુધારા પ્રમાણે કાર્યવાહીનો નિકાલ બાકી હોય તે દરમિયાન મેજિસ્ટ્રેટ વચગાળાનું ભરણપોષણ મંજૂર કરી શકે છે યોગ્ય લાગે તેટલો કાર્યવાહીનો ખર્ચ આપવાનો પણ હુકમ કરી શકે છે. આવો હુકમ સામાન્ય રીતે નોટિસ બજયાની તારીખથી સાઠ દિવસની અંદર કરવાની જોગવાઈ છે, પરંતુ ભરણપોષણ (Maintenance) ની અરજીએ ફરિયાદ સ્વરૂપની નથી તેથી તેને પોલીસ ફરિયાદ ગણી શકાય નહીં અને તેથી સામાવાળા જેની પાસે ભરણપોષણ માંગે છે. તેને આરોપી ગણવામાં આવતા નથી. અરજદાર અરજી કરે એટલે સામાવાળા ઉપર સમન્સ અથવા નોટિસ કાઢવામાં આવે છે અને જો સમન્સ બજયા છતાં સામાવાળા હાજર ન થાય તો કોર્ટ એકતરફી હુકમ કરી શકે છે. જો હુકમનું પાલન ન થાય તો કોર્ટ વોરંટ કાઢી શકે છે અને જેલ પણ કરી શકે છે. પરંતુ વોરંટ કાઢતા પહેલાં કારણદર્શક નોટિસ સામાવાળાને આપવી ખૂબ જરૂરી છે.

ભરણપોષણ (Maintenance) ની રકમની વસૂલાત મિલકતમાંથી કરી શકાતી હોય છે. રોકડ રકમ, ઝવેરાત અથવા પગારમાંથી ભરણપોષણની રકમની વસૂલાત કરી શકાય છે, આને જંગમ મિલકતમાંથી કરેલી વસૂલાત કહે છે. પગારમાંથી સીધી વસૂલાત પણ થઈ શકે છે. તેની જાણ જ્યાં પતિ નોકરી કરતો હોય તેના માલિકને કરવી જરૂરી છે. પતિના રહેઠાણની હકૂમત ધરાવતી કોર્ટમાંથી વસૂલાત કરી શકાય છે. પરંતુ વોરન્ટ કાઢતાં પહેલાં સામાવાળાને સુનાવણીની વાજબી તક આપવી જરૂરી છે. સ્થાવર મિલકતમાંથી ભરણપોષણની રકમની વસૂલાત કરી શકાય છે પણ માટે ક્રિમીનલ પ્રોસિજર કોડ (CrPC)ની કલમ-421 હેઠળ કાર્યવાહી કરી વોરંટ કઢાવવું પડે અને પછી તે કલેકટરને મોકલી વસૂલાત થઈ શકે. સીધી જપ્તી દ્વારા વસૂલાત કરી શકાતી નથી. પ્રથમ જંગમ મિલકતમાંથી વસૂલાત કરવાની કાર્યવાહી કરવી પડે. ભરણપોષણની રકમ આપવામાં બેદરકાર રહે અથવા ઉપેક્ષા રાખે તો, તેને એક મહિનાની અથવા તેથી ઓછી સજા કરી શકાય છે. જેટલા મહિનાની રકમ બાકી હોય તેટલા માસની સજા થઈ શકે છે તેનાથી વધુ સજા કરી શકાય નહીં. કેદની સજા સાદી કે સખત પણ હોઈ શકે. આવો સજાનો હુકમ થતાં ચડત રકમની જવાબદારી બંધ થઈ જતી નથી. ભરણપોષણની ચડત રકમ એક વર્ષની અંદર વસુલવાની હોય છે. બાર માસથી વધુ મહિનાની રકમ વસૂલ થઈ શકતી નથી.
આ પણ વાંચો:પહેલા પતિથી અલગ થયેલી મહિલા બીજા પતિ પાસેથી માંગી શકે છે ભરણપોષણ, સુપ્રીમ કોર્ટનો નિર્ણય
આ પણ વાંચો:કોર્ટે પત્નીને ભરણપોષણ આપવાનો આદેશ આપ્યો, તો વ્યક્તિ બેગમાં 2 અને 1 રૂપિયાના સિક્કા લઈને પહોંચ્યો
