Ahmedabad News : જૂનાગઢમાં બનેલા એક બનાવમાં 9 મહિનાનું બાળક LED બલ્બ ગળી જતા મોટીતકલીફ ઉભી થઈ હતી. આ બનાવની વિગત મુજબ જૂનાગઢના માંગરોળ તાલુકામાંરહેતા પરિવારનો 9 મહિનાનો બાળક રમતા રમતા મોબાઈલનો LED બલ્બ ગળી ગયો હતો. બીજીતરફ બાળકને સતત ઉધરસ આવતાં માતા-પિતા રાજકોટ ખાનગી હોસ્પિટલમાં લઈ ગયાં હતાં, જ્યાં ફેફસામાં પિન ચોટી હોવાનું માલૂમ પડ્યું હતું, જેની સર્જરી માટે 70 હજારનો ખર્ચ જણાવ્યો હતો.
અંતે પરિવાર તેના વહાલસોયાને લઈ 3 જૂને અમદાવાદ સિવિલમાં આવતાં અહીં એકપણ રૂપિયાના ખર્ચ વગર તબીબોએ સર્જરી કરી LED બલ્બ કાઢી આપતાં પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ બાળક ખતરાની બહાર હોવાનું જાણવા મળ્યું છે.જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં રહેતા અને સુથારીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા જુનેદભાઈએ જણાવ્યું હતું કે છેલ્લા ઓગણીસ દિવસથી આમથી તેમ અમારા બાળકની તકલીફની સારવાર માટે દોડી રહ્યા હતા, પણ છેલ્લે સાચી સારવાર સિવિલ હોસ્પિટલ, અમદાવાદમાં મળી. જુનેદ યુસુફ અને તેમનાં પત્ની તબસ્સુમબેનના લાડકવાયા એવા 9 માસના નાનકડા પુત્ર મોહમ્મદને છેલ્લા 19 દિવસથી ઉધરસ આવતી હતી.
જૂનાગઢમાં બાળરોગ તજજ્ઞને બતાવતાં તેનો છાતીનો એક્સ-રે કરાવતાં એમાં શ્વસનનળીમાં કાંઈક હોવાનું માલૂમ પડ્યું હતું. જુનેદભાઇને રાજકોટની ખાનગી હોસ્પિટલ દ્વારા વધુ તપાસની ભલામણ કરવામાં આવી, પણ એનો ખર્ચ તેમને પોષાય એમ ન હોવાથી તેમના માટે સિવિલ હોસ્પિટલ, અમદાવાદ આશાની કિરણ બની. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે બાળકને લઇ આવતાં તારીખ 3 જૂન, 2025ના રોજ તેને પીડિયાટ્રિક સર્જરી વિભાગમાં તાત્કાલિક દાખલ કરવામાં આવ્યું.સિવિલ હોસ્પિટલ, અમદાવાદના પીડિયાટ્રિક સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોશી તેમજ એનેસ્થેસિયા વિભાગના પ્રોફેસર ડૉ. નિલેશ અને તેમની ટીમ દ્વારા બાળકની બ્રોન્કોસ્કોપી કરી જમણી તરફની મુખ્ય શ્વાસનળીમાંથી એક એલઇડી બલ્બ સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો.
ઓપરેશન પછી બાળકની તબિયત ઝડપથી સુધરી રહી છે અને કોઇપણ બીજી તકલીફ વગર તે હવે સ્વસ્થ છે, જેથી ટૂંક સમયમાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે એમ ડોક્ટરોએ જણાવ્યું હતું.ડો. રાકેશ જોશીએ કહ્યું હતું કે જ્યારે બાળકને સિવિલમાં સારવાર માટે લાવવામાં આવ્યું ત્યારે બ્રોન્કોસ્કોપી કરતાં તેના ફેફસામાં પિન જેવું જોવા મળ્યું હતું, જેને સર્જરી કરી બહાર કાઢી જોયું તો એ મોબાઈલ ફોનનો LED બલ્બ હતો. આ બાબતે વાલીની પૂછપરછ કરતાં કહ્યું હતું કે તેઓ દ્વારા બાળકીની મોટી બહેનને રમકડાનો મોબાઈલ લઈ આપ્યો હતો, જેનો આ બલ્બ હોઈ શકે.
તબીબે વધુમાં વાલીઓને સલાહ આપતાં કહ્યું હતું કે બાળકો જ્યાં સુધી પાંચ વર્ષના ન થાય ત્યાં સુધી જે વસ્તુઓ ગળી જાય એવી હોય એ દૂર રાખવી જોઈએ. ઠંડા પીણાની બોટલમાં પણ જોખમી વસ્તુ ભરીને રાખવી ન જોઈએ. વડોદરાની સયાજી હોસ્પિટલમાં બાળરોગ વિભાગમાં ચાર મહિના પહેલાં 8 મહિનાની બાળકી સારવાર માટે આવી હતી. તેને 3 દિવસથી લોહીની ઊલટીઓ થતાં માતા-પિતા તપાસ માટે હોસ્પિટલ લાવ્યાં. અહીં ડૉક્ટરે બાળકીનો એક્સ-રે કરતાં ચોંકાવનારો ખુલાસો થયો. તેની અન્નનળીમાં ખુલ્લી સેફ્ટી પિન ફસાયેલી હતી. તપાસ બાદ ડૉક્ટરની ટીમે તરત જ બાળકીની સર્જરી કરીને તેનો જીવ બચાવી લીધો હતો.
આ પણ વાંચો:લોકરક્ષક અને PSI ભરતી મુદ્દે હસમુખ પટેલે કરી મોટી જાહેરાત, બાકી રહેલા ઉમેદવારો માટે ફરી…
આ પણ વાંચો:લોકરક્ષક અને PSIની ભરતી માટે આવ્યા મોટા સમાચાર,12,472 જગ્યા માટે લાખો ઉમેદવારોએ કરી અરજી
