National News : આમ આદમી પાર્ટી (AAP) હાલમાં રાજકીય પડકારોના દોરમાંથી પસાર થઈ રહી છે. તાજેતરમાં કેટલાક સાંસદોએ પાર્ટીનો સાથ છોડ્યો હોવાના દાવાઓ વચ્ચે રાજકારણમાં ચર્ચા તેગ બની છે. આ પરિસ્થિતિમાં કોંગ્રેસે વધુ મોટો દાવો કરીને AAP પર દબાણ વધાર્યું છે.
પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વડિંગે કહ્યું કે, માત્ર થોડા સાંસદો જ નહીં, પરંતુ આશરે 50 જેટલા ધારાસભ્યો પણ પક્ષ બદલી શકે છે. તેમના મત મુજબ, જ્યારે પાર્ટીમાં વિચારધારા કરતાં અન્ય બાબતોને પ્રાધાન્ય આપવામાં આવે છે, ત્યારે આવી પરિસ્થિતિ ઊભી થવી સ્વાભાવિક છે.
વડિંગે આક્ષેપ કર્યો કે, યોગ્ય માપદંડો વિના લેવાતા નિર્ણયો અને નેતૃત્વની નીતિઓને કારણે કાર્યકરો અને પ્રતિનિધિઓમાં અસંતોષ વધે છે. જેના કારણે પક્ષપલટાની શક્યતાઓ ઊભી થાય છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે, AAPએ સાવધાન રહેવું જોઈએ, નહીં તો એકસાથે મોટા પાયે ધારાસભ્યો પાર્ટી છોડી શકે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, ઘણા ધારાસભ્યોમાં અસુરક્ષા અને નારાજગીનો માહોલ હોઈ શકે છે, જે ભવિષ્યમાં મોટા રાજકીય ફેરફારો તરફ દોરી શકે છે. વડિંગના જણાવ્યા મુજબ, આ ઘટનામાંથી અન્ય રાજકીય પક્ષોએ પણ શીખ લેવા જેવી છે કે સંગઠનમાં મજબૂત વિચારધારા અને પારદર્શિતા જરૂરી છે.
કોંગ્રેસે પોતાનો અભિગમ રજૂ કરતાં કહ્યું કે, તેઓ સામાન્ય લોકો અને વિચારધારા આધારિત રાજકારણમાં વિશ્વાસ રાખે છે. પક્ષે ઉદાહરણ આપતાં જણાવ્યું કે, તેઓએ સામાન્ય પૃષ્ઠભૂમિના લોકોને પણ મહત્વપૂર્ણ પદો આપ્યા છે.AAP
AAPમાંથી બહાર નીકળેલા નેતાઓ અંગે વડિંગે જણાવ્યું કે, તેઓ પાર્ટીના જ પસંદ કરેલા લોકો હતા અને તેમને તમામ સુવિધાઓ આપવામાં આવી હતી. આથી, હાલની પરિસ્થિતિ માટે જવાબદારી પણ પાર્ટીના આંતરિક નિર્ણયો પર જ આવે છે.
