ગુજરાતમાં ફરી એકવાર અદાણી કંપનીએ સીએનજીના ભાવમાં વધારો કર્યો છે,જેના લીધે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોની સ્થિતિ પેચીદી બની છે. સતત ભાવ વધારાના કારણે લોકોના બજેટ ખોરવાઇ રહ્યા છે,રિક્ષા ડ્રાઇવરો ,મુસાફરોને આ ભાવ વધારાથી સીધી અસર જોવા મળે છે.અદાણીએ સીએનજીના ભાવમાં 1.49 રૂપિયાનો વધારો કર્યો છે. બે દિવસ પહેલા જ 1.99 રૂપિયાનો વધારો કર્યો હતો. અદાણી ગ્રુપ દ્વારા બીજી ઓગસ્ટે CNG ગેસમાં પ્રતિ કિલોએ 1.99 રૂપિયાનો વધારો જાહેર કર્યો હતો. ત્યારે બે જ દિવસમાં ફરીવાર 1.49 રૂપિયાનો વધારો કરીને મોંઘવારીમાં સામાન્ય માણસને વધુ એક ફટકો પડ્યો છે. આજથી સીએનજી ગેસનો નવો ભાવ લાગુ થશે. છેલ્લા બે જ દિવસમાં અદાણીએ રૂપિયા 3.48નો ભાવ વધારો કર્યો છે.
ઉલ્લેખનીય છે કે અદાણી કંપની સતત ભાવ વધારો કરી રહી છે. અદાણી દ્વારા વધારવામાં આવેલો આ નવો ભાવવધારો આજથી જ અમલી ગણાશે. નવા ભાવવધારા સાથે અદાણી CNGનો ભાવ પ્રતિકિલોએ રૂપિયા 87.38 ઉપર પહોંચ્યો છે. CNGનો ભાવ 83.90 રૂપિયા હતો તે બીજી ઓગસ્ટે વધીને 85.89 રૂપિયા થયો હતો. જ્યારે આજે બે દિવસના સમયમાં જ ફરીવાર 1.49 રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે.
CNGના ભાવ વધારાને કારણે તેની અસર અન્ય ચીજવસ્તુઓ પર પણ જલ્દી દેખાશે તેવી અટકળો વધી રહી છે. શાકભાજીના ભાવોમાં પણ વધારો થયો છે. આ મોંઘવારીએ સામાન્ય માણસની કમર તોડી નાખી છે,પાંચ રાજ્યોની ચૂંટણી પછી સામાન્ય જીવન જરૂરિયાત વસ્તુઓના ભાવમાં વધારો થયો છે.
