કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સુરતની મુલાકાતે છે. મોઢ વણિક સમુદાય પર ટિપ્પણીના કેસમાં રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજરી આપવા પહોંચ્યા છે. મહત્વનું છે કે રાહુલ ગાંધીએ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન મોદી સમાજ વિરુદ્ધ વિવાદીત ટિપ્પણી કરી હતી. જેના વિરુદ્ધ ભાજપના પૂર્ણેશ મોદીએ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
સુરત એરપોર્ટ પર ગુજરાત કોંગ્રેસના અગ્રણીઓએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું.બાદમાં સુરત કોર્ટ રાહુલ ગાંધી પહોંચ્યા હતાં. સુરત પહોંચેલા હાર્દિક પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં ખોટો માનહાનિનો કેસ ચાલી રહ્યો છે. ગુજરાતમાં જે લોકો સત્તાની વિરુદ્ધ અવાજ ઉઠાવે તેમને પરેશાન કરાયા છે. આજે રાહુલ ગાંધીની મીટિંગ દરમિયાન કોઈ પોલિટિકલ મીટિંગ નથી, રાહુલ ગાંધી માત્ર કોર્ટની પ્રક્રિયામાં હાજરી આપશે.
Gujarat: Congress leader Rahul Gandhi arrives at Surat court to defend himself in a criminal defamation case over the ‘Modi surname’ remark pic.twitter.com/odl2eynsVT
— ANI (@ANI) June 24, 2021
બધા મોદી ચોર હોવાના રાહુલ ગાંધીના નિવેદન અંગે ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ફરિયાદ કરી હતી. કોર્ટમાં ફરિયાદ પક્ષની જુબાની પૂર્ણ થઈ ચૂકી છે. હવે આરોપી પક્ષે રાહુલ ગાંધીની જુબાની લેવાશે. આ કેસમાં રાહુલ ગાંધી પોતાનું ફાઇનલ સ્ટેટમેન્ટ આપશે.
કર્ણાટકની સભામાં રાહુલ ગાંધી દ્વારા મોદી સમાજને લઈને કરેલી ટિપ્પણીને કારણે તેમની સામે મોદી સમાજ દ્વારા કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીએ જાહેર સભામાં તમામ મોદી ચોર હોવાની ટિપ્પણી કરી હતી, જેમાં તેમણે નીરવ મોદી, લલિત મોદી સહિતનાં નામો લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કૌભાંડી અને ભ્રષ્ટાચારી ગણાવ્યા હતા, જેને લઇને સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. પૂર્ણેશ મોદીના કહેવા પ્રમાણે, સમગ્ર મોદી સમાજને ચોર કહેતાં સમાજની લાગણી દુભાય છે.
અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, દેશના સામાન્ય જનતાની અવાજ બનતા લોક નેતા રાહુલ ગાંધીને હેરાન પરેશાન કરવા માટે ખોટા માનહાનિના કેસો કરવામાં આવ્યા, એના ભાગ સ્વરૂપે ચાલતા કેસમાં કોર્ટ સમક્ષ ઉપસ્થિત રહે તેવી શકયતા છે. સમગ્ર કોંગ્રેસ સમિતિ સત્ય, ધર્મની લડાઈ માટે રાહુલ ગાંધી જે સંઘર્ષ કરી રહ્યા છે એમના સમર્થન અને સ્વાગતમાં જોડાશે.
