Gandhinagar News: માનવ-સિંહ સંઘર્ષને ઘટાડવા અને માનવ હુમલામાં સંડોવાયેલા સિંહોને સુરક્ષિત રીતે રાખવા માટે ગુજરાત વન વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. અમરેલી જિલ્લાના ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્કમાં (Ambardi Safari Park) આશરે 100 હેક્ટર વિસ્તારમાં ફેન્સિંગ સાથે વિશેષ સીમિત ક્ષેત્ર તૈયાર કરવામાં આવશે. અહીં આવા સિંહોને તેમની કુદરતી હેબિટેટને અનુરૂપ વાતાવરણમાં રાખવાની વ્યવસ્થા કરવામાં આવશે.
Ambardi Safari Park: સિંહોને કુદરતી વાતાવરણમાં રાખવાની વ્યવસ્થા
અગ્રમુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ ડૉ. જયપાલ સિંઘના જણાવ્યા (Gujarat Forest Department) મુજબ, માનવ હુમલામાં સંડોવાયેલા સિંહોને અલગ સીમિત ક્ષેત્રમાં રાખવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે અને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ફેન્સિંગ દ્વારા સુરક્ષિત વિસ્તાર ઊભો કરીને સિંહોને અનુકૂળ કુદરતી વાતાવરણ પૂરું પાડવામાં આવશે.

માનવ-વન્યજીવ સંઘર્ષ ઘટાડવાનો પ્રયાસ
વન વિભાગ દ્વારા માનવ વસાહતોમાં પ્રવેશતા અથવા સંઘર્ષની સ્થિતિ (Human Lion Conflict) સર્જતા વન્યજીવોને વૈજ્ઞાનિક પદ્ધતિથી સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ માનવ અને વન્યજીવો વચ્ચેનો સંઘર્ષ ઘટાડવો, પ્રાણીઓને યોગ્ય રહેઠાણ આપવું અને જૈવિક સંતુલન જાળવવાનો છે. ઘાયલ કે બીમાર પ્રાણીઓની સારવાર તથા વસ્તીવાળા વિસ્તારોમાં ભટકતા સિંહો-દીપડાને સુરક્ષિત સ્થળે ખસેડવા જેવી કામગીરી પણ આ પ્રક્રિયાનો ભાગ છે.

આંબરડી સફારી પાર્કનું મહત્વ
ધારી નજીક આવેલું આંબરડી સફારી પાર્ક ગીરના કુદરતી વાતાવરણ અને એશિયાટિક સિંહો માટે જાણીતું વન્યજીવ પ્રવાસન કેન્દ્ર છે. આશરે 365 હેક્ટર વિસ્તારમાં વિકસિત આ પાર્કમાં સિંહ ઉપરાંત દીપડા, ચિતલ, નીલગાય, ચિંકારા, મોર સહિત વિવિધ વન્યજીવો જોવા મળે છે. વર્ષ 2017માં શરૂ થયેલા આ સફારી પાર્કે વન્યજીવ સંરક્ષણ સાથે ગુજરાતના ઇકો-ટૂરિઝમને પણ વેગ આપ્યો છે.
વિશ્વ સિંહ દિવસ પર મહત્વપૂર્ણ પહેલ
દર વર્ષે 10 ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસની (World Lion Day)ઉજવણી કરવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ સિંહોના સંરક્ષણ અને તેમના કુદરતી રહેઠાણ અંગે જાગૃતિ ફેલાવવાનો છે. વિશ્વ સિંહ દિવસની પૂર્વસંધ્યાએ ગુજરાત વન વિભાગ દ્વારા માનવ-સિંહ સંઘર્ષ ઘટાડવા માટે લેવાયેલો આ નિર્ણય સિંહ સંરક્ષણની સાથે માનવ સુરક્ષા માટે પણ મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: સિંહોને હેરાન કરવું ભારે પડ્યું! વધુ 2 ઝડપાયા, ગીરના વાયરલ વીડિયો કેસમાં 10ની ધરપકડ
આ પણ વાંચો: PM મોદીએ સિંહોને નિહાળ્યાં, વીડિયો વાયરલ
આ પણ વાંચો: ગીરમાં રાહત: 17માંથી 11 સિંહોને જંગલમાં મુક્ત કરાયા, 6 હજુ સારવાર હેઠળ; રોગચાળાથી 12ના મોત
