કોરોના સંક્રમણથી સમગ્ર વિશ્વ પર મહામુસીબત ઉભી થઇ છે ત્યારે તેના વિવિધ સ્ટ્રેન બહાર આવી રહ્યા છે. નવો સ્ટ્રેન પહેલા કરતાં વધુ મુશ્કેલી ઉભી કરે તેવો છે. બ્રાઝિલમાં પણ આ નવા સ્ટ્રેનના કોરોના વાયરસના કેસો સામે આવતાં આખા વિશ્વમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો. આ વાયરસના ઈલાજ અર્થે તેના પર 2 અલગ અલગ અભ્યાસ હાથ ધરાયા હતા, જેમાં એ વાત સામે આવી છે કે અમેરિકાની ફાઈઝર અને ચીની કંપનીની સિનોવિક રસી કોરોના વાયરસના આ સ્ટ્રેનને માત આપવા માટે અસરકારક નીવડી શકે તેમ છે. ન્યૂ ઈંગ્લેન્ડની એક લેબના અભ્યાસમાં ફાઈઝર રસી વાયરસના નવા P1 સ્ટ્રેન પર અસરકારક હોવાનો દાવો કરાયો છે. આ સ્ટ્રેન સૌથી પહેલા બ્રાઝિલમાં જોવા મળ્યો હતો.
વાયરસના P1 સ્ટ્રેન સામે સિનોવિક બાયોટેક રસી અસરકારક
આના પહેલાં રિસર્ચરોએ આ રસીને બ્રિટન અને દક્ષિણ આફ્રિકામાં જોવા મળેલા કોરોનાવાયરસ સામે રક્ષણ આપવા માટે સક્ષમ છે એમ પુરવાર કરી હતી. જોકે દક્ષિણ આફ્રિકામાં જે વાયરસનો પ્રકાર હતો, તેના પર આ રસીની અસર થોડી ઓછી થઈ હતી. એવામાં બ્રાઝિલમાં જોવા મળેલા વાયરસના P1 સ્ટ્રેન પર ચીની કંપનીની સિનોવિક બાયોટેક રસી અસરકારક સાબિત થઈ છે, જેને ચકાસવા માટે બ્રાઝિલમાં નાનાં-મોટાં અધ્યયનો પણ કરવામાં આવ્યાં હતાં.
11 કરોડથી વધુ દર્દીઓ કોરોનાની ઝપેટમાં
વિશ્વભરમાં 11.77 કરોડ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે, જેમાં કોરોનાને માત આપીને 9 કરોડ 34 લાખ લોકો સ્વસ્થ થઈ ગયા છે, તો બીજી બાજુ 26 લાખ 12 હજારથી પણ વધુ લોકો કોરોનાવાયરસથી મૃત્યુ પામ્યા છે. www.worldometers.info/coronavirusમાં દર્શાવેલા આંકડાઓ મુજબ, વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં 2.92 લાખથી વધુ નવા કોરોના સંક્રમણના કેસો સામે આવ્યા છે અને 6 હજારથી વધુ દર્દીઓના સારવાર દરમિયાન મોત નીપજ્યાં છે.