Dahod News: ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાનો આક્ષેપ છે કે મનરેગા યોજના ભાજપના નેતાઓ અને મળતિયાઓ માટે ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરવાની યોજના બની ગઈ છે. યુપીએ સરકાર દ્વારા શરૂ કરાયેલી આ યોજના પાછળ આજે પણ ભાજપની એનડીએ સરકાર હજારો કરોડનું બજેટ ફાળવે છે.
હવે મનરેગામાં ગરીબોને રોજગારી આપવાના બદલે ભાજપના આગેવાનો અને મળતિયાઓ રીતસરના ગરીબોના રૂપિયા ઉસેટી રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે એકલા દાહોદમાં જ તપાસ કરવામાં આવે તો મનરેગામાં હજાર કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર આવી શકે છે.
અમિત ચાવડાએ જણાવ્યું હતું કે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં 26 ગ્રામ પંચાયત છે અને 42 હજારની વસ્તી છે. તેમા મનરેગા પાછળ 2021-22માં રૂ. 54 કરોડમાં 78 ટકા રકમ મટીરિયલ પાછળ અને 21 ટકા, 2022-23માં રૂ.129 કરોડમાં 94 ટકા મટીરિયલ પાછળ અને છ ટકા લેબર પાછળ, 2023-24માં રૂ. 70 કરોડ માં 88 ટકા મટીરિયલ પાછળ અને 12 ટકા લેબર પાછળ ખર્ચવામાં આવી છે. 2024-25માં રૂ. 40 કરોડનો ખર્ચ થયો છે. સામાન્ય રીતે મનરેગામાં નિયમ મુજબ 60 ટકા લેબર પાછળ અને 40 ટકા લેબર પાછળ ખર્ચ કરવાનો હોય છે. આમ ક્યાંય નિયમનું પાલન કરવામાં આવ્યું નથી. આ મટીરિયલ પણ ચાર જ એજન્સી ગિરિરાજ ટ્રેડર્સ, ગિરિરજ સપ્લાયર્સ, ગિરિરાજ એન્ટરપ્રાઇઝ અને જય માતાજી પાસેથી લેવાય છે.
અમિત ચાવડાએ કહ્યું હતું કે આ કૌભાંડની માહિતી મને ભાજપના જ કાર્યકરોએ આપી છે. આ માહિતી પીએમ મોદીને પહોંચાડવાની છે. તેમને જણાવવાનું છે કે ભાજપના એવા ચોકીદારો બેઠા છે, જે દિલ્હીથી આવતા કરોડો રૂપિયામાંથી ગરીબો સુધી રૂપિયો પણ પહોંચવા દેતા નથી. પીએમ મોદી દાવો કરતાં હતાં કે હું પ્રજાનો ચોકીદાર છું, હું પ્રજાનો સેવક છું, પરંતુ તેમના સેવકો આખેઆખી મલાઈ ચાટી રહ્યા છે.
ગુજરાતમાં ભ્રષ્ટાચાર જ શિષ્ટાચાર છે. શરમ મૂકીને ભાજપના આગેવાનો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. ગુજરાતે આપેલી 156 બેઠકોનો આ શિરપાવ હવે ભાજપના આગેવાનો ગુજરાતની પ્રજાને આપી રહ્યા છે. ભાજપના આગેવાનોએ રીતસરની લૂંટ ચલાવી છે. તેમણે જણાવ્યું હતું કે 100 કરોડથી વધારે ભ્રષ્ટાચાર તો ફક્ત દેવગઢ બારીયાની આસપાસ જ જોવા મળ્યો છે. હવે જો આખા દાહોદ જિલ્લાની ભ્રષ્ટાચાર તપાસ થાય તો કમસેકમ હજાર કરોડનો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે.
