આસામના કોંગ્રેસી ગઠબંધનના ઉમેદવારોને જયપુર રાજકીય ખેલના હબ ગણાતા હોટલ-રિસોર્ટમા આશ્રય અપાયો આ તો ભેંસ ભાગોળે ને છાશ છાગોળે જેવી વાત
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
સોશિયલ મીડિયામાં છેલ્લા એક સપ્તાહથી એક મેસેજ ફરે છે કે એક વર્ષમાં કોરોના ઘણો બદલાઇ ગયો પણ આપણે બદલાયા નથી. નવા અર્થમાં આપણે ની જગ્યાએ રાજકારણીઓનો ઉપયોગ સહેલાઈથી થઈ શકે તેમ છે. આપણા રાજકારણીઓ ક્યારે કયા પ્રકારના ખેલ પાડે છે તે નક્કી હોતું નથી. ચૂંટણી આવે ત્યારે રાજકીય ખેરખાઓ ગમે તે પ્રકારના દાવ પેચ રમે છે. ઇ-ડીના અને આવકવેરાના દરોડા મોટાભાગે ચૂંટણી આસપાસના દિવસોમાં પડતા હોય છે અને તેમાં કેન્દ્રમાં જે કોઈ પક્ષ સત્તાધારી પક્ષ હોય તેના ઈશારે વિપક્ષના કે વીપક્ષને ટેકો આપનારાઓ સામે કાર્યવાહી થાય છે. તમિલનાડુ, બંગાળ, કેરળ સહિતના સ્થળોએ આપણે આવું જોયું છે. પરંતુ આ વખતે નવા પ્રકારનું રાજકારણ જોવા મળ્યું છે અને તેનું મથક કોરોના ગ્રસ્ત (ભલે મધ્ય પ્રદેશ, છતીસગઢ કરતા ઓછો) એવા રાજસ્થાનમાં ફરી એકવાર રિસોર્ટનું રાજકારણ શરૂ થયું છે. જે રીતે કટોકટી વખતે ગુજરાતમાં પ્રારંભિક કાળમાં જનતા મોરચાનું શાસન હતું તેવે સમયે ઘણા બિન કોંગ્રેસી નેતાઓએ લાંબા સમય સુધી ગુજરાતમાં વિવિધ સ્થળોએ આશ્રય લીધો હતો. તે રીતે 2018 થી કોંગ્રેસ શાસિત રાજ્યોની યાદીમાં જેનું નામ છે અને આ જ રાજ્યોની યાદીમાં જેનું નામ ટક્યું છે તે રાજસ્થાનમાં ફરી રિસોર્ટના રાજકારણનો ખેલ ખેલાઈ રહ્યો છે.
વાત એવી બહાર આવી છે કે આસામમાં કોંગ્રેસનું જેની સાથે ગઠબંધન છે તેવા ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (એ આઈ ડી યુ એફ) ના 17 જેટલા ઉમેદવારોને લઈને આવેલું વિમાન જયપુરના વિમાની મથકે ઉતર્યુ અને જયપુર વિમાનીમથકે કાફલો હાજર હતો આ તમામ ૧૭ જેટલા ભાવિ ધારાસભ્યો હોવાનો દાવો કરનારાઓમાં કોરોના ટેસ્ટ કરાયો અને ત્યારબાદ આવા રાજકીય માણસોને રાખવામાં જેનું નામ છે તે હોટલ ફેર મોન્ટ ખાતે આ તમામને નજરકેદ રાખવામાં આવ્યા છે. આસામના આ રાજકીય મહાનુભાવોને રાજસ્થાન કોંગ્રેસના મુખ્ય દંડક મહેશ જોશી અને ધારાસભ્ય રફીક ખાનની દેખરેખમાં રખાશે. કોંગ્રેસના નેતાઓ દાવો કરે છે તે પ્રમાણે આવતા દિવસોમાં કોંગ્રેસના ઉમેદવારોને પણ આ રિસોર્ટ જેવી હોટલમાં લવાશે. આ અંગે કારણ એવું અપાય છે કે આ ઉમેદવારોને ભાજપની ત્યાંની સરકાર હોર્સ હેડિંગ ન કરી જાય અથવા તો શામ દામ દંડ ભેદનું હથિયાર અપનાવી પોતાના પક્ષમાં ખેંચી ન જાય તે માટે આ ખેલ ખેલવામાં આવ્યો છે.
જ્યારે કોંગ્રેસના યુવા અગ્રણી સચિન પાયલોટે કોંગ્રેસ સામે બગાવત કરી ત્યારે મુખ્યમંત્રી અશોક ગેહલોત જૂથના ધારાસભ્યોને આ જ સ્થળે રાખવામાં આવ્યા હતા. હવે ફરી એકવાર આસામના રાજકારણીઓને હોટલમાં મહાલવાનો લાભ આપવામાં આવ્યો છે એટલે કે હોટલ બંધી કરવામાં આવી છે કોંગ્રેસના આગેવાનો એમ કહે છે કે રાજકારણીઓની ખરીદી કરવાના માહિર એવા ભાજપના નેતાઓના કહેવાતા ષડયંત્રથી બચાવવા માટે આ ધારાસભ્યોને અહીંયા લાવવામાં આવ્યા છે. કારણ કે કોંગ્રેસ કહે છે કે ભાજપ રાજકારણ ખેલવામાં માહિર છે જ્યારે સામાપક્ષે ભાજપના નેતાઓએ કોંગ્રેસ પર કટાક્ષ કરતા એવું કહ્યું છે કે ગાઉં બસા ભી નહીં ઔર લુટેરે આ ગયે જેવો ઘાટ છે. આનો અર્થ એવો થાય કે હજી તો રાજસ્થાનના રિસોર્ટમાં રખાયેલા રાજકારણીઓ માત્ર ઉમેદવારો છે ધારાસભ્ય નથી. છતાં તેની સંભાળ રાખવી પડે તેનો સીધો સાદો અર્થ એ જ થાય કે કોંગ્રેસ અને તેના સાથી પક્ષને પોતાના ઉમેદવારોમાં વિશ્વાસ નથી. અથવા તો આ ઉમેદવારોને તેઓ બિકાઉ માલ એટલે કે ગમે ત્યારે ગમે ત્યાં જઈ શકે તેવો ખેલનારા માને છે.
ગુજરાતમાં 2017ની વિધાનસભાની ચૂંટણી પહેલા જે રાજ્યસભાની ચૂંટણી યોજાઈ હતી ત્યારે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ પક્ષાંતર કરતા બાકીના ધારાસભ્યોને તે વખતે જનતાદળ (એસ) અને કોંગ્રેસનું સંયુક્ત શાસન ધરાવતા બેંગ્લોરમાં લઈ જવાયા હતા અને ત્યાં રાખવામાં આવ્યા હતા જ્યારે મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભાજપમાં સામેલ થવાની તૈયારી કરી ત્યારે તે વખતે તેમના સમર્થક એવા 22 ધારાસભ્યોને બેંગ્લોરના રિસોર્ટમાં રખાયા હતા. ટૂંકમાં રિસોર્ટનું રાજકારણ કોઈપણ પક્ષ માટે નવું નથી. ૧૯૯૬માં તે વખતના ભાજપના પાયાના પથ્થર ગણાતા શંકરસિંહ વાઘેલાના જૂથે ભાજપ સામે બળવો કર્યો અને અલગ જૂથ રચ્યું ત્યારે તે વખતે આ બળવાખોરોને પ્રદેશના ખજુરાહો ખાતે લઈ જવાયા હતા અને તેથી જ તે વખતના શંકરસિંહ જુથનું નામ ખજુરીયા જૂથ પડ્યું હતું. જ્યારે સ્વ. કેશુબાપાને વફાદાર એવા જુથનું નામ હજુરિયા જૂથ રખાયું હતું.
જ્યારે પણ કોઇ પણ પક્ષમાં બળવો થાય કે થવાનો હોય ત્યારે એક યા બીજો પક્ષ પોતાના ધારાસભ્યોને બચાવવા માટે જે એક યા બીજા સ્થળે રિસોર્ટમાં મોકલી દે છે જ્યાં પોતાના પક્ષનું શાસન હોય. જોકે ઘણીવાર સ્થાનિક કે સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં પણ તે સંસ્થાઓ સાથે સંકળાયેલા આગેવાનો અને હોદ્દેદારોને અન્યત્ર મોકલી દેવાતા હોવાના દાખલા આપણે અખબારોના પાનાં પર વાંચ્યા છે. પરંતુ ઉમેદવારોને ચુંટણી પત્યા બાદ અન્ય કોઈ રાજ્યની હોટલમાં મોકલી દેવાય અથવા તો રાજકીય વિશ્લેષકોની ભાષામાં કહીએ તેમ હોટલ બંધી કરાય તેવો આ પ્રથમ બનાવ છે. આ અંગે કોંગ્રેસના આગેવાનો એમ કહે છે કે આસામમાં અમારી સરકાર બનતી રોકવા ભાજપ ગમે તે હદે જઈ શકે છે તેથી આ પગલું ભરવું પડ્યું છે જ્યારે ભાજપના નેતાઓ એમ કહે છે કે કોંગ્રેસ તેના સાથી પક્ષને પોતાના ઉમેદવારોને સાચવવાની તાકાત નથી. અથવા તો ઉમેદવારોમાં વિશ્વાસ નથી તેના કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે.
આ એક સૌથી કરુણ બાબત કહી શકાય તેમ જણાવી વિશ્લેષકો કહે છે કે આમ તો આ ભેસ ભાગોળે છાશ છાગોળે અને ઘરમાં ધમાધમ જેવી વાત છે. ભાજપની ગામ વસે તે પહેલા જ લૂંટારુઓ આવી ગયા તેવી વાત પણ સાવ ખોટી નથી. જોકે જયપુર લવાયેલા ઉમેદવારો પૈકી કેટલા ચૂંટાય છે તેની ખબર તો બીજી મેં એ જ પડશે બાકી અત્યારે તો કોરોના કહેર વચ્ચે રાજકારણીઓ મોજ કરે છે.