પટણા,
કર્ણાટકમાં બીજેપીની સરકાર બની ગઈ છે અને બી. એસ. યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી પદની શપથ પણ લઈ લીધા છે. ત્યારે બીજી તરફ રાજ્યપાલના નિર્ણયની વિરુદ્ધમાં વિપક્ષ ભાજપને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ દરમિયાન ભાજપમાં જ રહેલા નેતાઓ પણ આને ભાજપનું યોગ્ય પગલું ગણાવતા નથી. ભાજપના બાગી નેતા અને બિહારી બાબુ એટલે કે શત્રુઘ્ન સિન્હાએ કર્ણાટકના નિર્ણય અંગે સવાલ ઉભો કરીને ભાજપને સકંજામાં લેવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું છે કે, કર્ણાટમાં જુગાડ અને દબાનું પોલિટિક્સ ચાલી રહ્યું છે, તે લોકતંત્રની હત્યા છે.
પટના સાહિબના ભાજપના સાંસદ શત્રુઘ્ન સિન્હા ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા દરભંગાના સાંસદ કિર્તી આઝાદના નાના પુત્રના રિસેપ્શનમાં ભાગ લેવા માટે દરભંગા પહોંચ્યા હતા. ત્યારે તેમણે પત્રકારોની સાથે વાતચીત દરમિયાન કર્ણાટકના નાટક અંગે જવાબ આપતા કહ્યું હતું કે, કર્ણાટકમાં સરકાર બનાવવા માટે જુગાડ અને દબાણનું પોલિટિક્સ લોકતંત્ર માટે યોગ્ય નથી.
તેમણે બીજેપીનું નામ આપ્યા વિના નિશાન સાધતા કહ્યું હતું કે, લોકતંત્રની તથાકથિત હત્યા કરીને સરકાર બનાવવી ક્યારેક હાસ્યાસ્પદ અને ફજેતીભરી પણ બની જાય છે. તેમણે કહ્યું હતું કે, આવી સરકારને ચલાવવી પણ કઠીન હોય છે.
ઉલ્લેખનીય છે કે, શત્રુઘ્ન સિન્હાના વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી જીત્યા પછીથી પાર્ટી હાઈકમાન્ડ સાથે ક્યારેય વાતચીત યોગ્ય રહી નથી. તેઓ સતત પાર્ટીની વિરુદ્ધમાં બયાન આપી રહ્યા છે, કેટલીય વાર પાર્ટીના સિનિયર નેતાઓએ તેમને નજરઅંદાજ કર્યા છે તો કેટલાય નેતાઓએ એટલે સુધી કહ્યું છે કે, તેમને (શત્રુઘ્ન સિન્હા)ને વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ ટિકિટ નહિ આપે.