National news ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, દેશભરના ATM બે થી ત્રણ દિવસ માટે બંધ રહેવાનો સંદેશ WhatsApp પર વાયરલ થઈ રહ્યો છે. જો તમને પણ આવો મેસેજ મળ્યો હોય તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હા, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) એ આ વાયરલ વોટ્સએપ મેસેજને ખોટો જાહેર કર્યો છે. આ સંદેશમાં દાવો કરવામાં આવ્યો હતો કે, દેશભરના એટીએમ 2-3 દિવસ સુધી બંધ રહેશે.
પીઆઈબીએ પોતાના ટ્વીટમાં જણાવ્યું છે કે, આ સંદેશ તદ્દન ‘ખોટો’ છે અને એટીએમ રાબેતા મુજબ કાર્યરત રહેશે. આ સંદેશ વાંચ્યા પછી, ઘણા લોકો રોકડ ઉપાડવા અંગે ચિંતિત થયા હતા. આ સાથે, PIB એ લોકોને અપીલ કરી હતી કે, તેઓ આ ખોટી માહિતી પર ધ્યાન ન આપે અને તેને વધુ ન ફેલાવે.
PIB એ તેના ફેક્ટ ચેક હેન્ડલ (@PIBFactCheck) પરથી ટ્વિટ કર્યું હતું કે, ‘એક વાયરલ વોટ્સએપ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે, ATM 2-3 દિવસ સુધી બંધ રહેશે. આ સંદેશ ખોટો છે. એટીએમ સામાન્ય રીતે કાર્યરત રહેશે. ચકાસણી વિના સંદેશાઓ શેર કરશો નહીં. સરકાર દ્વારા પરિસ્થિતિ સ્પષ્ટ કરવાનો હેતુ લોકોમાં બિનજરૂરી ભય દૂર કરવાનો અને એટીએમ સેવાઓ કોઈપણ વિક્ષેપ વિના ચાલે તે સુનિશ્ચિત કરવાનો છે.
PIB એ પહેલાથી જ ઘણી વખત લોકોને સોશિયલ મીડિયા પર ફેલાતા ખોટા સમાચારોથી સાવધ રહેવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે, સાચી માહિતી માટે ફક્ત સત્તાવાર સ્ત્રોતો પર જ વિશ્વાસ કરો. વોટ્સએપ પર નકલી સંદેશાઓની સમસ્યા ઘણા સમયથી છે. આવા સંદેશાઓ ઝડપથી ફેલાય છે અને લોકોમાં મૂંઝવણ પેદા કરે છે.
PIB એ સૂચન કર્યું છે કે, કોઈપણ સંદેશ પર વિશ્વાસ કરતા પહેલા કે ફોરવર્ડ કરતા પહેલા, તેની સત્યતા સારી રીતે તપાસો. જો કોઈ સમાચાર શંકાસ્પદ લાગે તો પહેલા સત્તાવાર સ્ત્રોતથી તેની પુષ્ટિ કરો.
આ પણ વાંચો:‘ઓપરેશન સિંદૂર’ પછી પાકિસ્તાનમાં ભયનો માહોલ, ઘણા શહેરોમાંથી વિસ્ફોટના સમાચાર આવ્યા
આ પણ વાંચો:સર્વપક્ષીય બેઠકમાં રાજનાથ સિંહનું મોટું નિવેદન, કહ્યું- “પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન હજુ પણ યથાવત્”
