અયોધ્યા જમીન વિવાદ મુદ્દે નવેમ્બરના પહેલા સપ્તાહમાં જ નિર્ણય આવી શકે છે. આ અંગે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે આવતીકાલે આ મામલાની 40મી અને અંતિમ સુનાવણી કરવામાં આવશે. મંગળવારે સુનાવણી દરમિયાન હિન્દુ પક્ષ તરફથી રજુ થયેલા વરિષ્ઠ વકીલ કે પારાશરણે કહ્યું કે બાબરે અયોધ્યામાં મસ્જિદ બનાવીને જે ભૂલ કરી તેને સુધારવાની જરૂર છે. અયોધ્યામાં 50 – 60 મસ્જિદો છે, જ્યાં મુસ્લિમ નમાજ અદા કરી શકે છે પરંતુ હિન્દુ ભગવાન રામના જન્મસ્થળ એટલે કે અયોધ્યાને બદલી ન શકાય.
આપને જણાવી દઇએ કે, આ વર્ષે 6 ઓગસ્ટથી ચીફ જસ્ટિસના નેતૃત્વવાળી 5 જજોની બેંચમાં નિયમીત સુનાવણી ચાલી રહી છે. પારાશરણ સુપ્રીમ કોર્ટમાં મહંત સુરેશ દાસ તરફથી વકીલાત કરી રહ્યાં છે. સુરેશ દાસ પર સુન્ની વક્ફ બોર્ડ અને અન્ય લોકોએ કેસ કર્યો હતો. પારાશરણે કહ્યું કે સમ્રાટ બાબરે ભારતને જીત્યું અને તેને અયોધ્યા એટલે ભગવાન રામના જન્મસ્થળમાં મસ્જિદ બનાવીને ઐતિહાસિક ભૂલ કરી દીધી. આવું કરીને પોતાને પણ તમામ નિયમ-કાયદા ઉપર સમજી લીધા છે. સુપ્રીમ કોર્ટ અયોધ્યા મામલામાં 4-5 નવેમ્બરે નિર્ણય સંભળાવી શકે છે.