India Bangladesh Diplomatic Row 2026: ભારત અને પડોશી દેશ બાંગ્લાદેશ વચ્ચે ફરી એકવાર કૂટનીતિક તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહમાનના (Tariq Rahman) વરિષ્ઠ વ્યૂહાત્મક સલાહકાર ઝાહિદ ઉર રહમાન સાથે દિલ્હી એરપોર્ટ પર કરાયેલા કથિત અયોગ્ય વ્યવહારને લઈને બાંગ્લાદેશ સરકારે સખત વાંધો ઉઠાવ્યો છે. આ વિવાદ એટલો વધી ગયો છે કે ઢાકા ખાતે તૈનાત ભારતના ડેપ્યુટી હાઈ કમિશનર પવન બધેને સોમવારે મોડી રાત્રે બાંગ્લાદેશી વિદેશ મંત્રાલય દ્વારા તાત્કાલિક તલબ કરવામાં આવ્યા હતા અને સત્તાવાર રીતે વિરોધ નોંધાવાયો હતો. બાંગ્લાદેશના વિદેશ મંત્રી ખલીલુર રહમાને આ ઘટનાને ‘અનિચ્છનીય અને દુર્ભાગ્યપૂર્ણ’ ગણાવી છે.

શું છે દિલ્હી એરપોર્ટની સમગ્ર ઘટના?(Bangladesh)
સત્તાવાર અહેવાલો અનુસાર, બાંગ્લાદેશ(Bangladesh) સરકારના વ્યૂહાત્મક સલાહકાર ઝાહિદ ઉર રહમાન નવી દિલ્હીમાં એક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભાગ લેવા માટે આવ્યા હતા. પરંતુ જેવા તેઓ દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા, ભારતીય સુરક્ષા એજન્સીઓ અને ઇમિગ્રેશન અધિકારીઓએ તેમને ત્યાં જ રોકી લીધા હતા. એરપોર્ટ પર તેમની અટકાયત કરીને કેટલાક કલાકો સુધી સઘન પૂછપરછ કરવામાં આવી હતી. લાંબી કાનૂની પ્રક્રિયા અને સવાલો બાદ જ તેમને એરપોર્ટની બહાર જવાની પરવાનગી મળી હતી. જોકે, આ સંવેદનશીલ ઘટના પર હજી સુધી ભારતના વિદેશ મંત્રાલય (MEA) તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.
પહેલેથી જ આ 2 મુદ્દાઓ પર બંને દેશો છે આમને-સામને
આ વર્ષની શરૂઆતમાં બાંગ્લાદેશની (Bangladesh) ચૂંટણીમાં તારિક રહમાનની જીત બાદ સંબંધો સુધરવાની આશા હતી, પરંતુ આ બે ગંભીર વિવાદોના કારણે તણાવ યથાવત છે:
વર્ષ 2024 માં બાંગ્લાદેશમાં(Bangladesh) થયેલા ભારે હિંસક વિરોધ પ્રદર્શનો બાદ પૂર્વ પીએમ શેખ હસીના દેશ છોડીને ભાગી ગયા હતા અને ત્યારથી તેઓ ભારતમાં શરણ લઈ રહ્યા છે. વર્તમાન બાંગ્લાદેશ સરકાર સતત ભારત પાસે શેખ હસીનાના પ્રત્યાર્પણની (તેમને સોંપવાની) માંગ કરી રહી છે.
બાંગ્લાદેશનો ગંભીર આરોપ છે કે ભારતીય સત્તાવાળાઓ કોઈપણ કાનૂની પ્રક્રિયા કે દસ્તાવેજો વગર શંકાસ્પદ પ્રવાસીઓને સરહદ પાર બાંગ્લાદેશ તરફ જબરદસ્તી ધકેલવાનો (Push-in) પ્રયાસ કરી રહ્યા છે, જેને બાંગ્લાદેશી સેનાએ નિષ્ફળ બનાવ્યો હોવાનો દાવો કર્યો છે.
