ભુજ
ભુજના સંજોગનગરમાં મોટા પીરની ચોકડી પાસે આવેલી મદ્રેસા આઇશામાં શિક્ષણ સહિતની તાલીમ મેળવતી 40 કન્યાઓને ગત રાત્રે એકાએક ફૂડ પોઈઝનીંગની અસર થઈ જતાં તેમને જી. કે. જનરલ હોસ્પિટલ ખસેડાઈ છે.
દીકરીઓ કચ્છના અલગ-અલગ વિસ્તારની રહીશ છે. મદ્રેસામાં સાતથી દસ વર્ષની 160 દીકરીઓ નિવાસી શિક્ષણ મેળવી રહી છે. ગત રાત્રે સહુએ દાળ-ભાત આરોગ્યા હતા. ત્યારબાદ ચાળીસેક જેટલી દીકરીઓને મોડી રાત્રે ઝાડા-ઉલટી અને પેટમાં દુઃખાવો ઉપડતાં તેમને ભુજ જી. કે. જનરલ હોસ્પિટલ ખસેડાઈ હતી.
સમયસર તબીબ સારવારથી ત્રણેક દીકરીઓને બાદ કરતાં મોટાભાગની દીકરીઓની તબિયત સુધાર પર છે. જી. કે. જનરલ હોસ્પિટલમાં બાળાઓના ખબર-અંતર પૂછ્યાં બાદ કોંગ્રેસ આગેવાન આદમ ચાકીએ જણાવ્યું કે,
“આ અસર ખોરાકી ઝેરની નહીં પરંતુ નગરપાલિકાનું દૂષિત પાણી પીવાથી થઈ છે.”
તેમણે જણાવ્યું કે,
“તમામ દીકરીઓએ દાળ-ભાત આરોગ્યા હતા પરંતુ અસર માત્ર ચાળીસેક કન્યાઓને થઈ છે. મદ્રેસામાં ફિલ્ટર પ્લાન્ટનું પાણી પીનારી દીકરીઓને કોઈ ઝેરી અસર નથી થઈ પરંતુ બીમાર પડી જનારી દીકરીઓએ નગરપાલિકાનું દૂષિત પાણી પીધું હોઈ તેમને અસર થઈ છે.”
તેમણે દાવો કર્યો કે ગઈકાલે આ જ વિસ્તારમાંથી તેમને નળ વાટે આવતાં નગરપાલિકાના પાણી સાથે ગટરનું પાણી ભળ્યું હોવાની ફરિયાદ મળી હતી અને તે અંગે તેમણે સ્થાનિક કાઊન્સિલર સમક્ષ રજૂઆત પણ કરી હતી.”
