નવી દિલ્હી.
જો તમારી પાસે 200 અને 2000 રૂપિયાની નવી ચલણી નોટો છે, જે ફાટી ગઈ હોય કે ગંદી હોય તો તેને તમે બેંકમાં જમા નહિ કરાવી શકો. બસો રૂપિયા અને બે હજાર રૂપિયાની કપાયેલી, ફાટેલી અને ગંદી નોટોને બદલવા માટે આરબીઆઈએ હજુ સુધી કોઈ નીતિ બનાવી નથી. જો તમારી પાસે આવી નોટો છે તો તમારે તેનું સીધું નુકશાન ઉઠાવવું પડશે. બેંક આમાં આપની કોઈ મદદ કરશે નહિ.
200 અને 2000 રૂપિયાની નોટને ચલણમાં આવ્યાને હવે દોઢ વર્ષથી વધુનો સમય થઇ ગયો છે, પરંતુ કરન્સી (ચલણી) નોટના બદલવાના નિયમોમાં તેને શામેલ કરવામાં આવી નથી. જેના કારણે કપાયેલી, ફાટેલી અને ગંદી નોટોને બદલવા માટે આરબીઆઈ એક્સચેન્જ નિયમની મદદ લે છે.
આરબીઆઈના સેક્શન ૨૮માં આનો ઉલ્લેખ છે કે જેમાં પાંચ રૂપિયાથી લઈને ૧૦, ૫૦, ૧૦૦, ૫૦૦ અને ૧,૦૦૦ની નોટનો સમાવેશ થાય છે. આ સેક્શનમાં બસો અને બે હજાર રૂપિયાની નોટનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
ચલણમાં નથી તેવી નોટોનો ઉલ્લેખ છે
સૌથી અચરજની વાત એ છે કે, આરબીઆઈના આ સેક્શનમાં એવી નોટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જે હજુ સુધી ચલણમાં આવી જ નથી. આરબીઆઈના આ સેક્શનમાં ૫,૦૦૦ અને ૧૦,૦૦૦ રૂપિયાની ચલણી નોટને બદલી આપવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો કે આશ્ચર્યજનક બાબત એ છે કે, રૂપિયા ૫,૦૦૦ અને ૧૦,૦૦૦ની ચલણી નોટ હજુ સુધી ચલણમાં આવી જ નથી તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
નવી નોટો છાપવાનું સરકારે બંધ કર્યું
સરકાર અને આરબીઆઈએ તેના એક્સચેન્જ પર લાગુ કરવામાં આવેલા પ્રાવધાનો (જોગવાઈઓ)માં હજુ સુધી કોઈ બદલાવ કે ફેરફાર કરવામાં આવ્યો નથી. નવી નોટનું એલાન ગત તા. ૮, નવેમ્બર, ૨૦૧૬ બાદ કરવામાં આવ્યું હતું. બજારમાં ૨,૦૦૦ રૂપિયાની ૬.૭૦ લાખ કરોડ રૂપિયાના મૂલ્યની નોટો બજારમાં છે. આરબીઆઈએ હવે બે હજાર રૂપિયાની નવી નોટો છાપવાનું બંધ કરી દીધું છે.
આરબીઆઈ દ્વારા જયારે બે હજાર રૂપિયાની ચલણી નોટોને છાપવાનું બંધ કરી દીધું છે, ત્યારે બીજી તરફ હવે બજારમાં કપાયેલી, ફાટેલી અને ગંદી નોટોની ફરિયાદો સામે આવવાનું શરૂ થઇ ગઈ છે. જો તાત્કાલિક આ નિયમોમાં ફેરફાર કે બદલાવ કરવામાં નહિ આવે તો સામાન્ય જનતાને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. જો કે હજુ સુધી આ મામલે એટલી ફરિયાદો નથી આવી કે લોકોને પરેશાની વધે, પરંતુ બેંકો સુધી ધીરે-ધીરે ફરિયાદો પહોંચી રહી છે.
નવી નોટોની સીરીજમાં તાત્કાલિક ફેરફાર શક્ય નથી: આરબીઆઈ
એક સવાલના જવાબમાં આરબીઆઈએ સ્વીકાર્યું છે કે હજુ સુધીમાં નવી નોટોની સીરીજમાં કોઈ ફેરફાર કરવામાં આવી શકે તેમ નથી.
સરકારી ગેઝેટમાં ફેરફારો માટે નોટિફિકેશન થયા પછી જ તેને બદલી શકાશે. જો કે, હજુ સુધી એ બાબત સ્પષ્ટ થઈ શકી નથી કે આ માટે કેટલો સમય લાગશે.