નવી દિલ્હી: હવે શેરબજારની નજર સોમવારે યોજાનારી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક પર મંડાયેલી છે. સરકાર અને રિઝર્વ બેન્કના ઉગ્ર મતભેદો વચ્ચે તા. 19 મીને સોમવારે રિઝર્વ બેન્ક બોર્ડની બેઠક યોજાઇ રહી છે. આ બેઠક શેરબજારનું વલણ નક્કી કરશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની આ બેઠકમાં એનબીએફસીને રાહત આપવાના સરકારના પ્રસ્તાવ પર હંગામો થવાના અણસાર છે અને નાના તેમજ મધ્યમ વેપારીઓને રાહત મળવાની આશા છે.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની આ બેઠક કેટલાક મુદ્દે ભારે તોફાની પણ બની શકે છે. આ બેઠકમાં કેન્દ્ર તરફથી ચાર મુખ્ય પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે, જેમાં એનબીએફસીને વધુ કેશ ઉપલબ્ધ કરાવવી, પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શનની શરતોમાં રાહત આપવી, કેશ રિઝર્વ રાખવા માટે ફોર્મ્યુલા તૈયાર કરવી અને નાના-મધ્યમ વેપારીઓને રૂ. ૨.૫ કરોડ સુધીના કરજને રિસ્ટ્રક્ચરિંગ કરવા મંજૂરી આપવા સહિતના મુદ્દાઓનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત રિઝર્વ બેન્ક પર પોતાની વોચ વધારવા માટે સરકાર દ્વારા કેટલાક નિયમોમાં બદલાવ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે, જેના કારણે રિઝર્વ બેન્ક અને સરકાર વચ્ચે ભારે તંગદિલી સર્જાઈ શકે છે.
સરકારના આ પ્રસ્તાવથી દુનિયાના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્ર પર રોકાણકારોનો વિશ્વાસ ઘટી શકે છે. મોદી સરકાર દ્વારા આરબીઆઇ બોર્ડને ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી, મોનેટરી પોલિસી અને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ પર વોચ રાખવા માટે એક પેનલ બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. રિઝર્વ બેન્ક બોર્ડની બેઠકમાં સોમવારે કેવા નિર્ણયો લેવામાં આવશે તેના પરથી શેરબજારનું વલણ નક્કી થશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું.