ગઈ કાલે બે મહિલાઓએ સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરીને અયપ્પા ભગવાનના દર્શન કર્યા હતા. જેને લઈને આજે વિરોધને પગલે હિન્દુત્વ વિભિન્નત સંગઠનોએ કેરળમાં રાજ્યવ્યાપી બંધની જાહેરાત કરી છે.
તમને જણાવી દઈએ કેદક્ષીણપંથી સંગઠનો દ્વારા સબરીમાલા મંદિરના મુદ્દા પર છેલ્લા ત્રણ મહિનામાં આ સાતમી વખત રાજ્ય બંધ રહ્યું છે.
તો બીજી તરફ રાજ્યના વેપારીઓનું કહેવું છે કે તેઓ આ બંધમાં સમર્થન નહી કરે. તેમણે પોલીસ સાથે સુરક્ષાની માંગ પણ કરી છે.
કોણે કર્યો હતો મંદિરમાં પ્રવેશ ?
સબરીમાલા મંદિરને લઈને સુપ્રીમ કોર્ટે મહિલા પ્રવેશની મંજુરી આપી દીધી હતી પરંતુ વિરોધીઓને લીધે મહિલાઓને અયપ્પા ભગવાનના દર્શન કરવાનો લ્હાવો નહતો મળ્યો.
મંગળવારે રાત્રે ૫૦ વર્ષથી ઓછી ઉંમરની બે મહિલાએ સબરીમાલા મંદિરમાં ભગવાન અયપ્પાના દર્શન કર્યા છે. ૪૨ વર્ષીય બિંદુ અને ૪૪ વર્ષીય કનકદુર્ગાએ મદિરમાં પ્રવેશ કર્યો હતો.
બે મહિલાઓના પ્રવેશની સાથે જ વર્ષો જૂની મંદિરની પરંપરા તૂટી ગઈ છે જેમાં મહિલાઓને આવતા પીરીયડસને લીધે ૧૦ થી ૫૦ વર્ષની ઉંમરની મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ હતો.
મંદિરનું કર્યું શુદ્ધિકરણ
આ બે મહિલાઓના મંદિરમાં પ્રવેશ કરવાને લીધે હાલ મંદિર બંધ કરી દેવામાં આવ્યું હતું. સુત્રોના જણાવ્યા પ્રમાણે મંદિરની શુદ્ધિકરણ માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
એટલું જ નહી પણ મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ પણ તૈનાત કરવામાં આવ્યા છે. મંદિર બંધ કરવાનો નિર્ણય મુખ્ય પુજારીઓ દ્વારા લેવામાં આવ્યો હતો.
સીએમ પીનારાઈએ કહ્યું આવું
બે મહિલાના સબરીમાલા મંદિરમાં ભગવાન અયપ્પાના દર્શન કરવા અંગે સીએમ પીનારઈએ પોતાનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે આજે બે મહિલાઓએ મંદિરમાં પ્રવેશ કર્યો હતો. જે પણ મહિલા મંદિરમાં પ્રવેશ કરવા ઇરછતી હોય તેમને પોલીસ પ્રોટેક્શન આપવાનો નિર્દેશ અમે પોલીસને કર્યો છે.
તમને જણાવી દઈએ કે આની પહેલા પણ આ બે મહિલાઓએ મંદિરમાં પ્રવેશ કરવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ વિરોધીઓના લીધે તેમને ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું.
૨૮ સપ્ટેમ્બર, ૨૦૧૮ના રોજ સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિરમાં દરેક મહિલાના પ્રવેશને મંજુરી આપી દીધી હતી.