ગાંધીનગર,
પૂર્વ મુખ્યપ્રધાન અને પૂર્વ કોંગ્રેસી નેતા શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદ યોજી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કેટલાક સવાલો ઉભા કરી સરકારની આકરી ટીકા કરી હતી.
શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, સરદાર પટેલનું સૌથી મોટું સ્ટેચ્યુ બનાવવું સારી બાબત છે, પરંતુ જેઓએ સરદારને પોતાના રજવાડા આપી દીધા છે તેમનું સન્માન કરવું જોઇએ.
જેમાં ખાસ કરીને વડોદરાના રાજપીપળાના રાજવીનું સન્માન કરવું જોઇએ. સરદારનું સ્ટેચ્યુ એક માર્કેટિંગ છે, જેનો ભાજપ રાજકીય ફાયદો ઉઠાવવા માગે છે.
શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, અમદાવાદના શાહીબાદમાં આવેલા સરદાર મેમોરિયલ ટ્રસ્ટને આજસુધી કોઇ સહાય કરવામાં આવી નથી એટલું જ નહીં ત્યાં એકપણ મુલાકાત પણ લેવાની તસ્તી મોદી સરકારે લીધી નથી.
શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે જ્યારે અમદાવાદ એરપોર્ટને સરદાર પટેલનું નામ આપવામાં આવ્યું હતું તે સમયે ભાજપે દ્વારા જ વિરોધ કર્યો હતો, મોદીજી તમે કોને મુર્ખ બનાવો છો, સ્ટેચ્યુ ઓફ યુનિટી તો મેડ ઇન ચાઇના છે, તમે આ સ્ટેચ્યુથી કોને ખુશ કરવા માગો છો. સરદાર પટેલ સાહેબ જોડે આજે પણ અન્યાય થઇ રહ્યો છે.
ભાજપે સરદાર પટેલની વિશાળ પ્રતિમા બનાવીને રાજ્યમાં ચાલી રહેલા પાટીદાર આંદોલનને ઠંડું પાડવા માંગી રહ્યા છે, પરંતુ મારો એક સવાલ છે કે તમે સરદારનો ઉપયોગ કરી શું પાટીદાર સમાજને ખુશ કરવા માગો છો? પહેલા આવા નાટક કર્યા વગર પાટીદાર સમાજના જે છોકરા જેલમાં બંધ છે એમને મુક્ત કરો તેમના વિશે વિચારો.
સરદાર કેમ ગમે છે? પાટીદાર સમાજ નારાજ છે એટલે? પરંતુ આ સમાજ બધું સમજી ગયો છે. સરદાર સાહેબે ક્યારેય દેશના વડાપ્રધાન બનવાનું કહ્યું નહોતું. માત્ર જુઠ્ઠાણા ફેલાવીને સરકાર લોકોની વોટબેંક મેળવવા માંગે છે.
ઉલ્લેખનિય છે કે, વડાપ્રધાન મોદી આગામી 31 તારીખના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ માટે આવી રહ્યા છે ત્યારે શંકરસિંહ જેવા મોટા નેતા દ્વારા તેના પર સવાલો ઉભો કરાતા રાજકીય માહોલ ગરમાયો છે.