Anand News/ આણંદ નવી મહાનગરપાલિકામાં વિવાદઃ દેશના નકશામાંથી કરમસદ ગામ ભૂસાયું-સમિતિ, સ્કૂલ-કોલેજ અને દુકાનોની સાથે મંદિરો પણ બંધ

દેશને એક કરનાર સરદાર વલ્લભભાઈ પટેલનું માદર વતન કરમસદ ગામ છે, ત્યારે કરમસદ ગામે બંધ પાળીને સરકારના નિર્ણયનો વિરોધ નોંધાવ્યો.

Top Stories Gujarat Others

આણંદ મહાનગરપાલિકામાં કરમસદ ગામનો સમાવેશ કરાયો છે, જેના વિરોધમાં આજે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા કરમસદ ગામમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યું હતું. તારીખ 1 જાન્યુઆરી 2025ના રોજ સત્તાવાર રીતે આણંદને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવ્યું હતું. આણંદ મહાનગરપાલિકામાં સરદાર વલ્લભભાઈ પટેલના વતન કરમસદ ગામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેનો ગ્રામજનો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિરોધ અંતર્ગત આજરોજ સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા કરમસદ ગામમાં બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું.

કરમસદ ગામના તમામ નાના-મોટા વેપારીઓ આ બંધમાં જોડાયાં હતા. જેથી ગામ આખું સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે. કોઈ અણબનાવ ન બને તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. શાળા-કોલેજોમાં રજા અપાઈ, મંદિરો પણ બંધ રખાયા કરમસદ ગામમાં આવેલ બેંકો અને મેડિકલ સ્ટોર સિવાય તમામ દુકાનો-ઓફિસો બંધ રાખવામાં આવી છે. સાથે-સાથે ટ્રસ્ટ સંચાલિત વિવિધ શાળા-કોલેજોમાં પણ આજે રજા આપવામાં આવી છે. તદુપરાંત મોટાભાગના મંદિરો પણ આજે ખોલવામાં આવ્યા નથી.

સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના અધ્યક્ષ મિથીલેશ અમીને જણાવ્યું હતું કે, સરકારે આજે સરદાર સાથે છેતરપિંડી કરી છે, દગો કર્યો છે અને વિશ્વાસઘાત કર્યો છે. મોદી સરકાર અને તેમના મંત્રીઓ મતોની લાલચમાં વખતોવખત આ જ સરદાર વલ્લભભાઈ પટેલના ગામમાં આવી સરદાર પટેલના સ્ટેચ્યૂ ઉપર હાર ચઢાવી જય સરદારના નારા લગાવ્યા હતા અને અખંડ ભારતના શિલ્પી એવા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના વતન ગામને સ્પેશિયલ દરજ્જો મળવો જોઈએ તેવી માગણીઓ કરી હતી. પરંતુ મોદી સરકાર હવે વાયદા અને વચનોથી ફરી ગઈ છે, સરદાર સાથે દગો કર્યો છે.

અમીને વધુમાં જણાવ્યું હતું કે, તેમ છતાં મોદી સરકારે રાતોરાત ચોરની જેમ અંધારામાં સરદાર વલ્લભભાઈ પટેલના ગામ કરમસદના અસ્તિત્વનો નાશ કરીને હિન્દુસ્તાનના નક્શામાંથી નેસ્તનાબુદ કરી દીધું છે. સરકારે સરદાર પટેલની વિચારધારાને પતાવવાનું કામ કર્યું છે અને જો સરદાર પટેલની વિચારધારા ખતમ થશે તો જ સાવરકરની વિચારધારાનો જન્મ થશે તેવી દ્વેષભાવના સાથે સરકાર કામ કરી રહી છે. જેના વિરોધમાં આજે સંપૂર્ણ કરમસદ બંધ છે. સરદાર વલ્લભભાઈ પટેલના વતન ગામ કરમસદ ને સ્પેશિયલ દરજ્જો મળે તેવી અમારી લાગણી અને માંગણી છે.

સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના આણંદ જિલ્લા અધ્યક્ષ મહર્ષિ પટેલે જણાવ્યું હતું કે, કરમસદ ગામને આણંદ મહાનગરપાલિકામાં સમાવવાના વિરોધમાં ગઈકાલે ગ્રામજનોએ ભેગાં થઈને ગામેરૂ બોલાવ્યું આવ્યું હતું. જેમાં સરકાર સામે વિરોધ નોંધાવવા માટે કરમસદ બંધનું એલાન જાહેર કર્યું હતું. જે મુજબ આજે કરમસદ ગામ સંપૂર્ણ બંધ છે. સરકારના નિર્ણયથી ભગવાન પણ નારાજ થયા છે. જેનાથી સરકારને અને ભક્તોને પણ ખબર પડશે કે, આપણે જે ભગવાનની ભક્તિ કરીએ છીએ, તે ભગવાને જો સરદાર વલ્લભભાઈ પટેલને બુદ્ધિ ના આપી હોત અને નકશો ના બનાવ્યો હોત, તો આજે આ હિન્દુસ્તાનના કેટલાય ભાગલા હોત. પણ આજે આ જ સરદારનું ગામ નકશામાંથી જાણે ભુસાઈ ગયું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: આણંદમાં હેડકોન્સ્ટેબલ જ રૂ. 3.63 લાખની 240 વિદેશી દારૂની બોટલો સાથે ઝડ્પાયો

આ પણ વાંચો: આણંદમાં માર્ગ અને મકાન વિભાગની બેદરકારી આવી સામે

આ પણ વાંચો: આણંદમાં રેત માફિયા બેફામ, મંતવ્ય ન્યુઝનું મેગા ઓપરેશન “કુદરતના દુશ્મન”