Ahmedabad News: અમદાવાદ શહેરની ખ્યાતિ હોસ્પિટલમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડો પાડ્યો છે. ક્રાઈમ બ્રાન્ચની છ ટીમે ખ્યાતિ હોસ્પિટલ પહોંચી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો, ફાઈલો અને ઈલેક્ટ્રોનિક પુરાવા જપ્ત કરવામાં આવ્યા છે.
જણાવી દઈએ કે, ક્રાઈમ બ્રાંચે તમામ ફરાર આરોપીઓ વિરુદ્ધ LOC જાહેર કરી છે.લુક આઉટ નોટીસ બાદ હવે આરોપી સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ડાયરેક્ટર કાર્તિક પટેલ અને CEO ચિરાગ રાજપૂત માસ્ટર માઈન્ડ છે.
ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન કૌભાંડમાં સંડોવાયેલા આરોપી પ્રશાંત વજીરાણીને મદદ કરનાર હેડ કોન્સ્ટેબલ લાલસાંગ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ફરજમાં બેદરકારી બદલ તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, આરોપી પ્રશાંત વઝીરાણીને લોકઅપમાં વીઆઈપી ટ્રીટમેન્ટ અને ઘરે બનાવેલું ખાવાનું આપવામાં આવ્યું હતું.
આરોગ્ય વિભાગે PMJAY કૌભાંડ મામલે ખ્યાતિ સહિત સાત હોસ્પિટલોને સસ્પેન્ડ કરી છે. જેમાં અમદાવાદની ત્રણ, સુરત, વડોદરા અને રાજકોટની 1-1 હોસ્પિટલ અને ગીર સોમનાથ હોસ્પિટલને પણ સસ્પેન્ડ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ હોસ્પિટલ તેમજ મલ્ટીસ્પેશ્યાલિસ્ટ ડોક્ટરો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જે અંતર્ગત આરોગ્ય વિભાગે ચાર તબીબોને પણ સસ્પેન્ડ કર્યા છે. જેમાં ખ્યાતિ હોસ્પિટલના ડો.પ્રશાંત વજીરાણીનો પણ સમાવેશ થાય છે. આરોગ્ય વિભાગ દ્વારા હજુ પણ આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. જો તપાસ દરમિયાન આ કૌભાંડમાં અન્ય કોઈ હોસ્પિટલ કે ડોક્ટરનું નામ બહાર આવશે તો તમામ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય છે કે હજુ સુધી આ તમામ હોસ્પિટલો અને ડોક્ટરો સામે ફોજદારી ગુના હેઠળ કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી.
કડીના બોરીસણા ગામે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા નિ:શુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાંથી 19 દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે બોલાવવામાં આવ્યા હતા. અહીં તમામ દર્દીઓને પૂછ્યા વગર એન્જિયોપ્લાસ્ટી અને સ્ટેન્ટ આપવામાં આવ્યા હતા. 70 વર્ષીય સેનમ નાગરભાઈ મોતીભાઈ અને 50 વર્ષીય બારોટ મહેશભાઈ ગિરધરભાઈનું સ્ટેન્ટ લગાવ્યા બાદ મૃત્યુ થયું હતું. જેના કારણે પરિવારજનોએ હોબાળો મચાવતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. પરિવારે હોસ્પિટલ સામે વિરોધ કર્યો અને આરોપ લગાવ્યો કે હોસ્પિટલે પૈસા પડાવવા માટે આયુષ્માન કાર્ડનો દુરુપયોગ કર્યો અને અમારી જાણ વગર દર્દી પર સ્ટેન્ટ લગાવ્યું. જેના કારણે બે દર્દીઓના મોત થયા હતા.
આ પણ વાંચો:‘ખ્યાતિકાંડમાં’ થયો મોટો ખુલાસો; 4 વર્ષમાં 3500 જેટલી કરાઈ સર્જરી, 25 કરોડ રૂપિયા સરકાર પાસેથી લીધાં
આ પણ વાંચો:ચકચારભર્યા ખ્યાતિ હોસ્પિટલકેસમાં ક્રાઈમ બ્રાંચ કરશે તપાસ : પોલીસ કમિશ્નર
આ પણ વાંચો:ખ્યાતિ હોસ્પિટલ કાંડ સંચાલકો અને આરોગ્ય વિભાગના ભ્રષ્ટાચારનું જોઈન્ટ ‘ઓપરેશન’

