સુપ્રીમ કોર્ટની ઝાટકણી બાદ દિલ્હી પોલીસ ફરીવાર નૂપુર શર્માને પૂછપરછ માટે નોટિસ પાઠવી શકે છે. ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા પરમોહમ્મદ પયંગબર વિશે વિવાદિત ટિપ્પણી કરવાનો આરોપ છે. આ મામલામાં તેની સામે અનેક FIR નોંધવામાં આવી છે. આ તમામ એફઆઈઆરને દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ સાથે તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેમની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન કોર્ટે શર્માને સખત ઠપકો આપ્યો હતો. દિલ્હી પોલીસની પણ કડક ટિપ્પણી કરી હતી.
સુપ્રીમ કોર્ટે કહ્યું, “દિલ્હીમાં નોંધાયેલી એફઆઈઆરમાં શું કાર્યવાહી કરવામાં આવી છે? અહીં, કદાચ પોલીસે તમારા માટે રેડ કાર્પેટ બિછાવી છે? તમને વિશેષ દરજ્જો મળી રહ્યો છે. પરંતુ કોર્ટમાં આવો દરજ્જો મળશે નહીં. તમે દરેક રાજ્યની હાઈકોર્ટમાં જાઓ અને તમારી વાત જણાવો, નીચલી કોર્ટમાંથી જામીન મેળવો.”
જસ્ટિસ સૂર્યકાન્ત અને જેબી પારડીવાલાની વેકેશન બેન્ચે કહ્યું, “તેમનો (શર્મા) પોતાની જીભ પર કોઈ કાબૂ નથી અને તેણે ટેલિવિઝન ચેનલો પર બેજવાબદાર નિવેદનો આપ્યા છે અને આખા દેશને આગ લગાવી દીધી છે. છતાં તે 10 વર્ષથી વકીલ હોવાનો દાવો કરે છે. તેમણે તેમની ટિપ્પણી માટે તરત જ સમગ્ર દેશની માફી માંગવી જોઈતી હતી.”
ન્યાયાધીશે કહ્યું, “આ નિવેદનો ખૂબ જ અવ્યવસ્થિત છે અને તે અહંકારની નિશાની છે. આવા નિવેદનો કરીને તેમનો શું અર્થ છે? આ નિવેદનોને કારણે દેશમાં કમનસીબ ઘટનાઓ બની છે, આ લોકો ધાર્મિક નથી. તેઓ અન્ય ધર્મોને માન આપતા નથી. આ ટિપ્પણીઓ કાં તો સસ્તી પ્રસિદ્ધિ મેળવવા અથવા કોઈ રાજકીય એજન્ડા અથવા દ્વેષપૂર્ણ પ્રવૃત્તિના ભાગરૂપે કરવામાં આવી હતી.
