Amreli News: અમરેલી બનાવટી લેટર કાંડ મામલે પાટીદાર યુવતી પાયલ ગોટી પ્રથમ વાર મીડિયા સામે આવી હતી. તેણે જેલમાંથી છૂટ્યા પછી વિઠલપુર ખાતે પત્રકાર પરિષદ યોજી પોતાને નિર્દોષ ગણાવી હતી. તેની સાથે તેણે બનાવટી પત્રની એફએસએલ તપાસ કરવાની માંગ કરી હતી. તેની સાથે પોલીસે તેને માર માર્યાનો આક્ષેપ કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે પોલીસે તેની સામે ફક્ત કાયદાકીય કાર્યવાહીના બદલે સરઘસ કાઢીને રીતસરનું તેની આબરુનું સરઘસ કાઢ્યુ હતુ.
તેણે કૌશિક વેકરિયાને મોટાભાઈ સમાન ગણાવ્યા હતા અને જણાવ્યું હતું કે ભવિષ્યમાં આવું કોઈ બીજું બહેન-દીકરીનું ન થાય તેનું ધ્યાન રાખજો. તેની સાથે પાયલે તેને સમર્થન આપનારા બધા સમાજના આગેવાનો અને લોકોનો આભાર માન્યો હતો. તેણે જણાવ્યું હતું કે મારે રાજકારણ સાથે કી લેવાદેવા નથી. હું રાજકારણમાં ઉતરવા પણ માંગતી નથી, પણ હા મારે ન્યાય જોઈએ છે, મેં કોઈ ગુનો કર્યો નથી તો પછી મારી સાથે આવું કેમ થયું.
તેણે જણાવ્યું હતું કે જેનીબેન ઠુમ્મર આ ઘટનાથી સ્તબ્ધ થઈ ગયેલા તેમના પરિવારને હિંમત આપવા આવ્યા હતા. પાયલ ગોટીએ કૌશિક વેકરિયાને ત્રણ પેજનો પત્ર લખ્યો હતો અને ન્યાયની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે પાયલ ગોટીની અમરેલીના પત્રકાંડમાં અડધી રાતે ધરપકડ કરવામાં આવી હતી અને તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. પોલીસના આ પગલાંની ચોતરફ ટીકા થઈ હતી. આપ અને કોંગ્રેસ બંનેએ પત્રકાંડમાં મહિલા સાથેની વર્તણૂકને લઈને વર્તમાન સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
આ પણ વાંચો: અમરેલી લેટરકાંડ: પીડિત યુવતીને સહકારી બૅન્કમાં મળી નોકરીની ઓફર, સમાજમાં આનંદ
આ પણ વાંચો: અમરેલી લેટરકાંડ મામલે પાયલ ગોટીના જામીન મંજૂર થતા કોર્ટ સંકુલમાં પાટીદાર સમાજમાં ખુશીનો માહોલ
આ પણ વાંચો: અમરેલીના લેટર કાંડના પડઘા સુરતમાં, મીટિંગ પહેલા જ સરકારે કર્યુ દબાણ
