ધનતેરસ ( આસો વદ તેરસ ) તા. 13-11-2018, શુક્રવાર
શ્રીમહાલક્ષ્મી પૂજા
સૌ દર્શક મિત્રોને ધનતેરસની ખૂબ ખૂબ શુભકામના. પ્રત્યેક પરિવારમાં મહાલક્ષ્મીનો સ્થાયી નિવાસ થાય. પરિવારમાં સુખ-સંપત્તિની વૃદ્ધિ થાય અને સૌના મનોરથ સિદ્ધ થાય તે માટે આજે શ્રીમહાલક્ષ્મી દેવીનું પૂજન કરવાની શાસ્ત્રોક્ત વિધિ, પૂજાનો શ્રેષ્ઠ સમય તેમજ શ્રીમહાલક્ષ્મી દેવીની કૃપા પ્રાપ્તિ માટેના પવિત્ર મંત્રો જાણીતા જ્યોતિષાચાર્ય શ્રી અમિતભાઈ ત્રિવેદી પાસેથી જાણીશું.
ધનત્રયોદશી, ધન્વતંરી પૂજન તેમજ ધનતેરસ એમ ત્રણ નામથી આ પવિત્ર દિવસ ઓળખાય છે.
ધનતેરસે પૂજા માટેનો શ્રેષ્ઠ સમય –
ધનતેરસના દિવસે ચંદ્ર ચિત્રા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. ચિત્રા નક્ષત્રની ગણના ઊગ્ર નક્ષત્રમાં કરવામાં આવી છે. માટે, આજે ગણેશજીની ઉપાસના પણ ખાસ કરવી અને મનને ઉશ્કેરાટથી મુક્ત રાખવું. આ વખતે તારીખ અને વાર ખૂબ જ અનુકૂળ આવ્યા છે.
- 13 નવેમ્બર: શુક્રવાર – ધનતેરસ
( સાંજે 6 વાગ્યા સુધી ધનતેરસ છે અને ત્યારબાદ કાળીચૌદશ )
ધનતેરસની ધનપૂજાનો સમય –
(1) સવારે 6.53 થી 7.48 (2) સવારે 8.45 થી 9.35 (3) બપોરે 1.20 થી 1.47
સવાલ –
શ્રી મહાલક્ષ્મી દેવીનું પૂજન કેવી રીતે કરવું ? શું પૂજા સામગ્રી રાખવી ? કઈ દિશામાં બેસવું ? વળી, ક્યા મંત્રોચ્ચાર કરવા ? એ તમામ માહિતી આપણા દર્શક મિત્રોને જણાવો.
જવાબ – શાસ્ત્રીજી અમિતભાઈ
- આપણે પ્રાતઃકાળ એટલે સૂર્યોદયથી જ વાતનો પ્રારંભ કરીએ. સૂર્યોદયથી જ પૂજાવિધિનો પ્રારંભ કરવો જોઈએ.
- ચંદ્રનું ચિત્રા નક્ષત્ર છે અને શુક્રનું ચિત્રા નક્ષત્ર છે માટે ઓમ્ ચિત્રાયૈ નમઃનો મંત્રજાપ અવશ્ય કરવો.
- ઘર સંપૂર્ણ સ્વચ્છ કરવું.
- ઘર આંગણે આસોપાલનું તોરણ બાંધવું
- ઘર આંગણે રંગોળીથી સજાવટ પણ કરવી
- ઘરના પ્રત્યેક દરવાજાની બારસાખનું પણ પૂજન કરવું અને ઊંબરાનું પણ સ્વસ્તિક દોરી પૂજન કરવું.
- સવારે ઘરના પ્રત્યેક ઓરડામાં ગુલાબના ત્રણ-ત્રણ પુષ્પ મૂકવા.
- ઘરના સ્ત્રી પાત્રોએ સુંદર વસ્ત્ર પહેરવા, ઘરેણા ધારણ કરવા, સોળ શણગાર સજવા
- ઘરમાં સ્હેજ પણ કકળાટનું વાતાવરણ ન હોવું જોઈએ. સૌએ પ્રસન્ન રહેવું
પૂજા સામગ્રી અને પૂજા વિધિ –
આપણે અષ્ટલક્ષ્મીનું પૂજન કરવાનું છે. અષ્ટલક્ષ્મી એટલે કે, આદિલક્ષ્મી, ધાન્યલક્ષ્મી, ધૈર્યલક્ષ્મી, ગજલક્ષ્મી, સંતાનલક્ષ્મી, વિજયાલક્ષ્મી, વિદ્યાલક્ષ્મી અને ધનલક્ષ્મી.

- પૂર્વાભિમુખ બેસવું
- ઘરમાં ઘર મંદિર આગળ બાજઠ મૂકવો. બાજઠ ઉપર સ્વચ્છ લાલ વસ્ત્ર પાથરવું
- બાજટ ઉપર થાળી મૂકવી. આ થાળી ચાંદી અથવા સ્ટીલની લેવી.
- થાળી ઉપર સ્વસ્તિક દોરવો
- થાળીમાં મહાલક્ષ્મીદેવીની બેઠેલી મૂર્તિ અથવા ફોટો મોકવો.
- દેવીની ડાબી બાજુ ચાંદીનું ઘરેણું અથવા ચાંદીનો સિક્કો અને જમણી તરફ સોનાનું ઘરેણું મૂકવું અથવા સૌનાનો સિક્કો અને મધ્યમાં ચલણી નાણું પધરાવવું.
- પરણિત હોવ તો મંગળસૂત્ર પણ મૂકવું.
- ઘરમાં શ્રીયંત્ર હોય તો તેને અને જો દક્ષિણાવર્તી શંખ હોય તો તેને પણ મધ્યમાં પધરાવવા.
- ઘીનો દીવો
- કમળનું પુષ્પ, કમ્મર કાકડી, ગલગોટાના પુષ્પ, ગુલાબના પુષ્પ અને મોગરાના પુષ્પ લઈ શકાય. ખાસ કરીને શ્રી મહાલક્ષ્મીદેવીને કમળનું પુષ્પ અતિ પ્રિય છે.
- આરતીની થાળી, પીળી બરફીનો પ્રસાદ, કંકું, અબીલ, ગુલાલ, અત્તર, ગાયનું દૂધ (ઠંડુ, ગરમ કર્યા વિનાનું કાચું દૂધ). અને કેરીનું ફળ.
- તાંબાના લોટામાં જળ, આચમની અને જળ પધરાવવા તરભાણું.
પૂજાનો પ્રારંભ —
- સૌ પ્રથમ શ્રીગણેશાય નમઃ મંત્ર બોલવો ત્યારબાદ કુળદેવીનું સ્મરણ કરવું.
- અને ઓમ નમોઃ ભગવતે વાસુદેવાય એ મંત્રની એક માળા કરવી.
- ત્યારબાદ અગરબત્તી પ્રગટાવવી તેનું ધૂપ આખાય ઘરમાં આપવું.
- ઘરના સૌ સભ્યને ઘરની સ્ત્રી પાત્ર અથવા કુંવારીકા કપાળમાં કુમકુમનું તિલક કરે અને જમણા હાથમાં નાડાછડી બાંધે.

સંકલ્પ વિધિ —
- જમણાં હાથમાં પાણી લેવું.
- પૂજા કરનારે પોતાનું નામ, તથા પોતાના પરિવારના સભ્યોના નામ ઉચ્ચારવા ત્યારબાદ કહેવું કે અમે હે મહાલક્ષ્મી દેવી અમે આપનું આવાહન કરીએ છીએ ઉત્તમ ફળ પ્રાપ્તિ અર્થે અમે અમારા નિવાસસ્થાનમાં આપના પૂજન અર્ચનનો શુભપ્રારંભ કરીએ છીએ.
- ત્યારબાદ આવાહન માટે પુષ્પ અર્પણ કરવું અને આ મંત્ર બોલવો-
- શ્રી મહાલક્ષ્મ્યૈ નમઃ આવાહનમ્ સમર્પયામિ…
- આ મંત્ર બોલી જળ બાજુમાં મૂકેલા તરભાણામાં પધરાવી દેવું.
- ત્યારબાદ દેવીને આસન માટે કમળનું પુષ્પ અર્પણ કરવું.
- ત્યારબાદ લક્ષ્મીદેવીના ચરણકમળનું પૂજન કરવા માટે જલ અર્પણ કરવું અને આ મંત્ર બોલવો – શ્રી મહાલક્ષ્મ્યૈ નમઃ પાદ્યં સમર્પયામિ…
હવે…
- મહાલક્ષ્મીદેવીને સ્નાન માટે જળ અર્પણ કરીએ – શ્રી મહાલક્ષ્મ્યૈ નમઃ સ્નાનં સમર્પયામિ મંત્ર બોલી જળથી દેવીના ફોટાને, શ્રીયંત્રને અને દક્ષિણાવર્તી શંખને સ્નાન કરાવીએ. ત્યારબાદ દૂધથી સ્નાન કરાવવું, ત્યારબાદ, દહીથી, ગાયના ઘીથી, મધથી, શુદ્ધજળથી, ત્યારબાદ શર્કરાયુક્ત જળથી અને ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવવું. આ સ્નાન ક્રમશઃ માતાજીને તેમજ થાળીમાં મૂકેલા પ્રત્યેક ઘરેણાને, શ્રીયંત્રને તેમજ દક્ષિણાવર્તી શંખને સ્નાન કરાવવું.
- સ્નાન કરાવ્યા બાદ – આ જ પ્રમાણે ચંદનમિશ્રિત જળથી સ્નાન કરાવવું અથવા અત્તરથી સ્નાન કરાવવું. ત્યારબાદ પુનઃ શુદ્ધજળથી સ્નાન કરાવવું અને માતાજીને શુદ્ધવસ્ત્રથી પ્રત્યેક પૂજા સામગ્રીને સ્વચ્છ કરવી.
- વસ્ત્ર માટે —- ત્રણ સૂતરના તાંતણા અર્પણ કરવા, અષ્ટગંધ ચંદનથી ક્રમાનુસાર ચાંદલા કરવા. કંકુવાળા ચોખાથી માતાજીને વધાવવા. ત્યારબાદ એક પછી એક પુષ્પ ક્રમાનુસાર અર્પણ કરવા. અને કંકું, અબીલ-ગુલાલથી માતાજીના વધામણા કરવા… અને માતાજીને કેરીનું ફળ અર્પણ કરવું.
- આટલી પૂજા સંપન્ન થયા બાદ…
- શ્રીલક્ષ્મીઅષ્ટકમ્ નો પાઠ કરવો, શ્રીસૂક્તનો પાઠ કરવો. શ્રીસુક્તનો પાઠ કરતા કરતા કંકુવાળા ચોખા એક એક ઋચા બોલતા જવું અને ચોખા શ્રીયંત્રને અથવા શ્રીમહાલક્ષ્મીના ફોટાને પધરાવતા જવું. આ મંત્રની એક માળા કરવી —
- ઓમ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદપ્રસીદ શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્મ્યૈ સ્વાહા..
- આ મંત્રની માળા કર્યા બાદ શ્રીમહાલક્ષ્મીદેવીની આરતી ઊતારવી.
- આરતી સંપન્ન થયા બાદ માતાજીને આરતી ધરાવવી અને ઘરના સૌ સભ્યોએ પણ આરતીના દર્શન કરવા. ત્યારબાદ પીળી બરફીનો પ્રસાદ અર્પણ કરવો. તાંબૂલનું પાન અર્પણ કરવું તેમજ એલચી અર્પણ કરવું.
- ત્યારબાદ શ્રી મહાલક્ષ્મી દેવીને જળપાન અર્પણ કરવું.
- હવે બે હાથ જોડી માતાજીને પ્રાર્થના કરવાની છે. પ્રાર્થનામાં આપણે ભૂદેવી અને શ્રીદેવી એમ બેઉની કૃપા પ્રાપ્ત કરવાની છે. હે શ્રી મહાલક્ષ્મી દેવી અમે આપનું શ્રદ્ધા અને ભક્તિભાવથી પૂજન કર્યું છે. આ પૂજામાં અમારી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો અમને ક્ષમા કરજો… આપ અમારા ઘરે સ્થાયી નિવાસ કરો… આપની કૃપા અમારી ઉપર સદાય રહે… અમે આપના આશીર્વાદની કામના કરીએ છીએ… અમે સૌ આપને પ્રણામ કરીએ છીએ… એમ કહી માતાજીને સાષ્ટાંગ પ્રણામ કરવા.
- ત્યારબાદ સૌએ પ્રસાદ લેવો…

સવાલ –
પૂજા સંપન્ન થયા બાદ પૂજાનું ઉત્થાપન કેવી રીતે કરવું….
જવાબ – શાસ્ત્રીજી અમિતભાઈ
- બીજા દિવસે સવારે પ્રાતઃ સમયે માતાજીને ચઢાવેલા પુષ્પ લઈ એક થાળીમાં મૂકવા, તેને સૂંઘી વૃક્ષ આગળ અથવા યથાયોગ્ય સ્થાને પધરાવવા, માતાજીને ચઢાવેલું જળ ઘરમાં પ્રત્યેક સ્થાને છાંટવું. અને જે કંકુવાળા ચોખા ચઢાવ્યા હતા તે ચોખા તિજોરીમાં પધરાવવા. અને માતાજીનો ફોટો, અન્ય દ્રવ્યો પણ યથાયોગ્ય સ્થાને પુનઃ મૂકવા.

સવાલ –
આજના દિવસે શું ખરીદી કરી શકાય
જવાબ – શાસ્ત્રીજી અમિતભાઈ
- આપેલા મૂહુર્તમાં સોનાનો દાગીનો, ચાંદીનો દાગીનો અથવા લગડી ખરીદી શકાય.
- જો એ શક્ય ન હોય તો સ્ટીલના વાસણો પણ ખરીદી શકાય.
- જો એ શક્ય ન હોય તો થોડા ચોખા ખરીદી શકાય.
- અને જો શક્ય હોય તો ઉપરોક્ત ત્રણે ત્રણ વસ્તુની ખરીદી કરવી.
