રામાયણના ઘણા વૃત્તાંત મળે છે. કેટલાક વૃત્તાંત મુજબ રાવણની બહેન શૂર્પણખાને (જેનું અસલ નામ મીનાક્ષી હતું) રામ પ્રત્યે આકર્ષણ હોવાથી એ રામ પાસે ગઈ હતી પરંતુ રામ તો સીતા પ્રત્યે પ્રતિબદ્ધ હતા એટલે એમણે એને જાકારો આપ્યો. પરંતુ ઘણા વૃત્તાંત અનુસાર શૂર્પણખા રામના પ્રેમમાં નહોતી પડી.
કેટલાક વૃત્તાંત મુજબ શૂર્પણખા દુષ્ટબુદ્ધિ નામના રાક્ષસને પરણી હતી. શરૂઆતમાં તો દુષ્ટબુદ્ધિએ રાવણ સાથે સારા સંબંધો રાખ્યા. પણ પછીથી એ વધારે સત્તા માંગવા માંડ્યો. આથી રાવણે દુષ્ટબુદ્ધિનો વધ કરી નાંખ્યો.
શૂર્પણખા એના પતિના મૃત્યુનો બદલો લેવા માંગતી હતી. શૂર્પણખાને ખ્યાલ હતો કે રાવણનો વધ કરી શકે એવા શક્તિશાળી તો માત્ર રામ જ છે. આથી એ રામ અને લક્ષ્મણ પાસે ગઈ. એણે લક્ષ્મણ સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ કર્યો એટલે લક્ષ્મણે એનું નાક કાપી નાંખ્યું. આનાથી ગુસ્સે થયેલા રાવણે સીતાનું અપહરણ કર્યું.
જો શૂર્પણખાએ એના ભાઈ રાવણ સામે બદલો લેવાનું ન વિચાર્યું હોત તો કદાચ રામ-રાવણ વચ્ચે યુદ્ધ ન થયું હોત!