રાજય મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આવતીકાલે તા. 22 જૂનના રોજ ગાંધીનગરથી 14 જિલ્લામાં “કૃષિ વૈવિધ્યકરણ પ્રોજેક્ટ વર્ષ 2021-22” અંતર્ગત ખાતર- બિયારણ કિટ્સ વિતરણનો વીડિયો કોન્ફરન્સના માધ્યમથી શુભારંભ કરાશે.
સવારે 10.30 કલાકે મુખ્યમંત્રી નિવાસ સ્થાનેથી આદિજાતિ વિકાસ વિભાગ અંતર્ગત રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, નવસારી, સુરત, તાપી, વલસાડ અને ડાંગ એમ કુલ-14 જિલ્લામાં આ યોજનાનો શુભારંભ થશે.
આ પ્રસંગે ગાંધીનગર ખાતે આદિજાતિ વિકાસ મંત્રી ગણપત વસાવા, આદિજાતી વિકાસ રાજ્ય મંત્રી રમણ પાટકર તેમજ જિલ્લા કક્ષાએ સાંસદો, ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ તાલુકા પંચાયત પ્રમુખ તેમજ પ્રાયોજના વહીવટદાર સહિત હોદ્દેદારો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે.