Rajkot News : રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડની તપાસમાં મોટો ખુલાસો થયો છે. અગ્નિકાંડની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની ટીમે કોર્ટમાં કહ્યું કે, ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેની કોઇ અરજી જ કોર્પોરેશનમાં કરવામાં નહોતી આવી. 25 મેના રોજ અગ્નિકાંડ સર્જાયા બાદ બીજે જ દિવસે ખોટા દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા હતા. બનાવના 1 દિવસ બાદ અશોકસિંહ અને કિરીટસિંહ જાડેજાના કહ્યા બાદ ખોટા દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા હતા. કોર્પોરેશનના ઓરિજનલ રજિસ્ટરનો નાશ કરવામાં આવ્યો હતો. જાડેજાની સૂચનાથી રજિસ્ટરનો નાશ કરવામાં આવ્યો હતો. આમ 26 મેના રોજ મૃતકોના પરિવારજનો મૃતદેહ માટે ઠેરઠેર ભટકતા હતા, તો કોર્પોરેશનમાં રાત્રે ડોક્યુમેન્ટ્સ સાથે રમત રમતા હતા.
સ્પેશિયલ પીપી તુષાર ગોકાણીએ કહ્યું કે, પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી. સાગઠિયા દ્વારા ખોટી મિનિટ્સ બૂક બનાવવામાં આવી હતી. 4 મેના રોજ કોઇ ગેરકાયદેસર બાંધકામ માટેની અરજી કરવામાં આવી નહોતી. તેમજ 9 મેના રોજ અરજી સંદર્ભે કોર્પોરેશન દ્વારા કોઇ પ્રત્યુતર આપવામાં આવ્યો નહોતો. પોલીસ દ્વારા IPCની કલમ 201નો ઉમેરો કરવા બબાતે કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જે IPC 201 પુરાવાનો નાશ કરવા બાબતે લાગુ કરાતી હોય છે.દરમિયાન આરોપી અશોકસિંહ જાડેજાને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, ઓશકસિંહ જાડેજા પોલીસકર્મીની મદદથી કોર્ટ સુધી પહોંચ્યા હતા. અશોકસિંહ જાડેજાના વકીલ દ્વારા અગાઉ આગોતરા જામીન અરજી પણ મુકવામાં આવી હતી. જામીન મામલે સુનાવણી થાય તે પૂર્વે અશોકસિંહ જાડેજા પોલીસ સમક્ષ હાજર થયા હતા. અત્યાર સુધીમાં 9 આરોપી જેલ હવાલે થઈ ચૂક્યા છે.
આરોપી અશોકસિંહ જાડેજાને કોર્ટમાં રજૂ કરવામાં આવતા સ્પેશિયલ પીપી વકીલ તુષાર ગોકાણીએ દલીલ કરી હતી કે, અશોકસિંહ પ્રજ્ઞા ચક્ષુ છે તેમના પ્રત્યે સહાનુભૂતિ છે પણ મૃત્યુ પામેલા 27 લાકોના પરિવાર પ્રત્યેની સહાનુભૂતિનું શું? TRP ગેમ ઝોન અગ્નિકાંડનું ગેરકાયદેસર બાંધકામ કાયદેસર કરવા માટે અશોકસિંહ અને તેમના ભાઈના દબાણથી મહાનગરપાલિકા દ્વારા 4 મેના ગેમ ઝોનની અરજી આવી અને 9 મેના જવાબ આવ્યો. જો કે, હકીકતમાં આ ડોક્યુમેન્ટ 26 મેના ઉભા કરવામાં આવ્યા હતા. જૂનું રજિસ્ટ્રર મનપાએ સળગાવી નાખ્યું છે.
આરોપીના વકીલ આર. ઝેડ. શેખે કહ્યું કે, કોર્પોરેશન, ફાયર બ્રિગેડમાં જ્યાં તપાસ કરવી હોય તે કરી શકે છે. 24 કલાકમાં અશોકસિંહને પોલીસ સ્ટેશનની બહાર નથી લઇ ગયા તો હવે રિમાન્ડ લેવાનો શું મતલબ છે. અશોકસિંહ જેલમાં હોય ત્યારે પણ નિવેદન લઇ શકાય છે.
TRP ગેમ ઝોનમાં દુર્ઘટનામાં 27 લોકોના મૃત્યુ થયા હતા. આ ઘટના બનતા સાગઠિયાને એવો ભય હતો કે, પોલીસ ગમે ત્યારે તેની પૂછપરછ કરી શકે છે. આથી સાગઠિયાએ એટીપીઓ રાજેશ મકવાણાને આદેશ કર્યો હતો કે, આપણું જે ટીપી ટેક્નિકલ નામનું જે વોટ્સએપ ગ્રૂપ છે તેમાં એક મેસેજ મૂકી દો કે 27 મે 2024ના રોજ સાંજના 6:30 કલાકે તમામે હાજર રહેવું. આથી મકવાણાએ 27 મેના દિવસે જ સાંજે 4:36 કલાકે સાગઠિયાએ આપેલા આદેશ મુજબ મેસેજ મૂકી દીધો હતો. ત્યાર બાદ ટેક્નિકલ શાખાના તમામ કર્મચારીઓ સેન્ટ્રલ ઝોન ટીપી શાખાની ઓફિસમાં હાજર થયા હતા. આ સમયે સાગઠિયાએ તમામને એવું કહ્યું હતું કે, TRP ગેમ ઝોનમાં આગનો બનાવ બન્યો છે અને પોલીસ કોઇપણ સમયે મારી પૂછપરછ કરી શકે તેમ છે. જેથી મારા બચાવ અર્થે મેં મારે લેવાની થતી સમયાંતરેની મિટિંગ લીધેલ હોય કે ન લીધેલ હોય પરંતુ સમયાંતરેની તમામ મિનિટ્સ નોટ બનાવેલ છે તેમાં તમારે બધાને લાગુ પડે ત્યાં સહીઓ કરવાની જ છે. જેથી હાજર સ્ટાફે વિગતો જોયા પછી જ સહી કરવાનું કહેતા સાગઠિયા ઉગ્ર થઇ ગયા હતા અને ‘તમારે આમાં સહી કરવાની જ’ તેવો આદેશ આપતા તમામ ટેક્નિકલ સ્ટાફના કર્મચારીઓએ ડુપ્લિકેટ મિનિટ્સ બુકમાં એક સાથે સહીઓ કરી દીધી હતી.
ગેમ ઝોનમાં કોની કેટલી ભાગીદારી હતી તે મામલે આરોપીની કરેલી પૂછપરછમાં સામે આવ્યું હતું કે, મૃતક પ્રકાશ જૈન સૌથી મોટો 60 ટકાનો ભાગીદાર હતો. તે દુર્ઘટના સમયે લોકોને બચાવવા જતાં પોતે પણ આગમાં હોમાઇ ગયો હતો. જ્યારે યુવરાજસિંહ સોલંકી-રાહુલ રાઠોડ 15-15 ટકાના ભાગીદાર હતા. યુવરાજસિંહ સોલંકી એક લાખ રૂપિયાનો પગાર પણ મેળવતો હતો. જ્યારે ગેમ ઝોનની જગ્યાના માલિક કિરીટસિંહ જાડેજા અને અશોકસિંહ જાડેજાનો 10-10 ટકા ભાગ હોવાનું ખૂલ્યું હતું. ગેમ ઝોન જે જગ્યા પર ચાલતો એ જમીન કિરીટસિંહ અને તેના ભાઇ અશોકસિંહ જગદીશસિંહ જાડેજાના નામે હતી.
પુરાવાનો નાશ કરવા રાજકોટ મનપાના પાંચ જેસીબી કામે લાગ્યાંની ઘટનાના 24 કલાકમાં જ આખા ગેમ ઝોનને ધ્વસ્ત કરી દેવામાં આવ્યો છે. ગેમ ઝોનની જગ્યા હાલ મેદાનમાં ફેરવાઈ ગઈ છે. ગેમ ઝોન ધ્વસ્ત થયા પછી પણ માનવઅંગો મળ્યાં, જેને સિવિલ હોસ્પિટલ DNA રિપોર્ટ માટે ખસેડાયાં હતાં.
આ પણ વાંચો: સુરતમાં સ્કૂલવાન ચાલકો વિરૂદ્ધ RTOની લાલ આંખ
આ પણ વાંચો: વાવ બેઠક: કોંગ્રેસ પોતાનો ગઢ બચાવવા કોને ટિકિટ આપશે? ‘આ’ નેતાઓ સૌથી આગળ
આ પણ વાંચો: ડાંગમાં ગ્રામજનોએ શાળાને કરી તાળાબંધી, બાળકોની સુરક્ષા પ્રથમ
