સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડના વેપારીઓની બીજા દિવસે હડતાલ યથાવત રાખી છે. ખેડૂતો માટે ભાવાંતર યોજના લાગુ કરવાનું સરકારને આપેલ 6 દિવસનું અલ્ટીમેટમ પૂર્ણ થતા હડતાલ કરવામાં આવી છે.
શુક્રવારના રોજ સૌરાષ્ટ્રના ચોવીસ જેટલા યાર્ડ દ્વારા બંધ પાળી હડતાળમાં સમર્થન આપવામાં આવી રહ્યું છે. અગાઉથી યાર્ડમા ખેડૂતો દ્વારા રાખવામાં આવેલ માલની હરાજી ચાલુ છે. નવા માલની આવક તમામ માર્કેટ યાર્ડમાં બંધ રાખવામાં આવી છે. ગઇકાલે પણ હડતાળના લીધે ખેડૂતોને મોટી હાલાકી વેઠવી પડી હતી.
રાજકોટ માર્કેટ યાર્ડ ખાતે બંધ બારણે બેઠક યોજાઇ. જેમાં યાર્ડના ચેરમેન, સત્તાધીશો અને વેપારી એસોસિએશનની બેઠક થઇ. કહેવાય છે કે આ બંધ બારણે બેઠકમાં ઉગ્ર બોલાચાલી પણ થઇ છે. લાભપાંચમથી યાર્ડ શરૂ કરવાનું યાર્ડના ચેરમેને નિવેદન આપ્યાની ચર્ચા છે. તેમજ એ વાત પણ સામે આવી છે કે સરકાર સાથે મંત્રણા બાદ હડતાલ સમેટવા વેપારી એસો. વિચારણાં કરશે.
ખેડૂતો માટે ભાવાંતર યોજના લાગુ કરવાનું સરકારને આપેલ 6 દિવસનું અલ્ટીમેટમ પૂર્ણ થતા હડતાળ કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર એપીએમસીના વેપારી એસોસીએશન દ્વારા બંધનો નિર્ણય લેવામાં આવ્યો. જેના લીધે કરોડો રૂપિયાનો વ્યવહાર ખોરવાયો છે. ભાવાંતર યોજના લાગુ કરવામાં નહી આવે ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાળ યથાવત રાખવામાં આવશે.
