યુપીના ભદોહીમાં રવિવારે મોડી સાંજે એક દુર્ગા પૂજા પંડાલમાં આગ લાગી હતી. થોડી જ વારમાં આખો પંડાલ સળગવા લાગ્યો. આગને કારણે એક કિશોર સહિત બે લોકોના મોત થયા હતા. જયારે 50 થી વધુ લોકો દાઝી ગયા હતા. દાઝી ગયેલા લોકોમાં મહિલાઓ અને બાળકો વધુ છે. આગ એટલી વિકરાળ હતી કે ઉંચી જ્વાળાઓ જોઈને બધા ચોંકી ગયા હતા. માહિતી મળતાં જ ડીએમ-એસપી સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ અને ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ગઈ હતી. સળગેલા બાળકો અને મહિલાઓને સીએચસી સહિત અનેક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 22ને BHUમાં રિફર કરવામાં આવ્યા છે.
ઔરાઈ-ભદોહી રોડ પર સ્થિત એકતા ક્લબનો પંડાલ તેની આકર્ષકતાને કારણે નવરાત્રિ દરમિયાન ભીડને આકર્ષે છે. રવિવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ પંડાલમાં 150 થી વધુ લોકો હાજર હતા. લોકો આરતીમાં જોડાઈને જયજયકાર કરતા હતા. પંડાલમાં ડિજિટલ શો પણ ચાલી રહ્યો હતો. આ દરમિયાન અચાનક આગ ફાટી નીકળી હતી. જે જોઈને નાસભાગ મચી ગઈ હતી. થોડી જ વારમાં આખો પંડાલ સળગવા લાગ્યો.
સ્થળ પર હોબાળો મચી ગયો હતો. લોકોમાં અફળાતફળી થઇ ગઇ હતી. આ સમાચાર લખાય ત્યાં સુધી કેટલા લોકો દાઝી ગયા છે તે સ્પષ્ટ નથી થયું, પરંતુ એક અધિકારીના જણાવ્યા અનુસાર 50 થી વધુ લોકો ઘાયલ થયા છે. હોસ્પિટલમાં લાવવામાં આવતા કિશોર સહિત બેને મૃત જાહેર કરાયા હતા. જો કે અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી નથી.
