રાજય માં પેટ્રોલ – ડીઝલનાં કમિશનમાં વર્ષ 2017 થી અને સી.એન.જી.નાં ભાવ માં વર્ષ 2019 થી કોઇ વધારો અપાયો ન હોવાથી ગુજરાતભરના ડીલરો તા. 12મી ઓગષ્ટથી નવતર પ્રકારની લડત આદરવા જઇ રહ્યા છે, જે મુજબ ત્યારથી દર ગુરૂવારે ગુજરાતના 4000થી વધુ ડીલર્સ પેટ્રોલ – ડીઝલની ખરીદી જ નહીં કરે અને 749 આઉટલેટ્સ પર દર ગુરૂવારે બપોરે એક કલાક સી.એન.જી.નું વેચાણ બંધ રાખશે.
જે અંતર્ગત સી.એન.જી.ના 750 જેટલાં પમ્પ છે, તે દર ગુરૂવારે બપોરે 1 થી 2 વાગ્યા દરમિયાન સી.એન.જી. વેચાણ બંધ રહેશે. આ ઉપરાંત, ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસીએશન્સના એલાન મુજબ રાજકોટ જિલ્લાના 400 અને સૌરાષ્ટ્રના 1500 સહિત રાજ્યના 4200 પમ્પ ખાતે દર ગુરૂવારે કંપનીમાંથી પેટ્રોલ – ડીઝલનો ઉપાડ જ બંધ રખાશે.
ડીલર્સનું કહેવું છે કે સામાન્ય રીતે દર વર્ષે 25 – 30 પૈસા પ્રતિ લિટર કરી અપાતો કમિશન વધારો છેલ્લે 2017માં આવ્યો ત્યારથી હજુ સુધી પેટ્રોલમાં પ્રતિ લિટર રૂા. 3.32 અને ડીઝલમાં લિટર દીઠ રૂા. 2.22 કમિશન મળે છે. વર્ષ 2018, 19, 20 અને 21નો કુલ અપેક્ષિત વધારો રૂા. 1 આસપાસ રહે, જે મળ્યો નથી. આની સામે, 2017માં પેટ્રોલ રૂા. 65 અને ડીઝલ રૂા. 61 આસપાસ મળતું તેનાં ભાવ હાલ અનુક્રમે રૂા. 98 અને રૂા. 96 થઇ ગયા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારને તો ટેક્સની તગડી રકમ ઉલ્ટાની એક દિવસ વહેલી જ મળી રહેશે અને પેટ્રોલ – ડીઝલનું વેચાણ પણ ચાલુ જ રહેવાનું હોવાથી પ્રજાજનોને પણ કોઇ તકલીફ નહીં પડે.