Gandhinagar News : ગુજરાત વિધાનસભા ખાતે આજે (28 માર્ચ) વિધાનસભા કોંગ્રેસ (Congress) પક્ષના નેતા અમિત ચાવડા (Amit Chavda)એ જણાવ્યું હતું કે વિધાનસભામાં આજે સત્રનો છેલ્લો દિવસ છે અને ગુજરાતમાં ચારે તરફ જે બેફામ ખનીજ ચોરી થઇ રહી છે, ગેરકાયદેસર ખનન થઇ રહ્યું છે એ સરકારમાં બેઠેલા લોકોના આશીર્વાદ અને મીલીભગતથી જે ખનન માફિયાઓ બેફામ થયા છે એના અનેક ઉદાહરણો એના પુરાવા આ વિધાનસભા ગૃહમાં ચર્ચા દરમ્યાન અને ચર્ચાના જવાબોમાં મળ્યા છે.
અમિત ચાવડા (Amit Chavda)એ જણાવ્યું હતું કે કે, કોંગ્રસ (Congress) પક્ષના ધારાસભ્ય (MLA) વિમલ ચુડાસમા (Vimal Chudasama) દ્વારા એમના પોતાના વિસ્તારમાં ચોરવાડમાં બોક્સાઈટની જે રીતે બેફામ ચોરી થઇ રહી છે, ગેરકાયદેસર ખનન થઇ રહ્યું છે અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે એ બાબતની વારંવાર લેખિત-મૌખિક રજુઆતો પછી પણ સરકાર દ્વારા કોઈપણ પગલા લેવામાં આવતા નથી. ગઈકાલે પણ એમની રજૂઆત અનુસંધાને મંત્રી દ્વારા ઉડાઉ જવાબ આપવામાં આવ્યો હતો. ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પુરાવા પણ અધ્યક્ષને આપ્યા તેમ છતાં સરકાર એ સ્વીકારવા તૈયાર નથી.
અમિત ચાવડા(Amit Chavda)એ આક્ષેપ કર્યો કે, આજે ધારાસભ્ય વિમલ ચુડાસમા (Vimal Chudasama) એ રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો તો નિયમોની જોગવાઈઓમાં ના હોય પણ જયારે ગેરકાયદેસર ખનન થતું હોય, સરકારી મિલકતો લુંટાતી હોય, અને મળતિયા લોકો બેફામ રીતે કોઈના પણ ડર વગર લુંટ ચલાવતા હોય તો પ્રજાના પ્રતિનિધિ તરીકે ધારાસભ્ય વિમલભાઈ વિધાનસભામાં ના બોલે તો ક્યાં બોલે? આથી વિધાનસભમાં પોતાની રજૂઆત કરવા જતા સાર્જન્ટ દ્વારા ઊંચકીને એમને બહાર લઇ જવામાં આવ્યા.
ગુજરાતમાં ચારે તરફ જે રીતે રેતીનું ખનન થાય છે, ક્યાંક ગેરકાયદેસર માટીનું ખનન થાય છે, ક્યાંક કોલસાનું ખનન થાય છે એ કચ્છ હોય, જુનાગઢ હોય, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, દાહોદ, નર્મદા હોય કે આણંદ હોય ગુજરાતનો એકપણ ખૂણો, એકપણ જીલ્લો કે તાલુકો એવો નથી કે જ્યાં ગેરકાયદેસર ખનન ના થતું હોય.
અમિત ચાવડા(Amit Chavda)એ સરકાર ખાણ ખનીજ વિભાગની કામગીરીને ખુલ્લી પાડતાં જણાવ્યું કે ડબલ એન્જીનની સરકાર છે, ખાણ-ખનીજ વિભાગ છે, પોલીસતંત્ર છે તેમ છતાં ગેરકાયદેસર ખનન કેમ નથી અટકતું ? એ એટલા માટે નથી અટકતું કે એના હપ્તા “ગામથી લઈને ગાંધીનગર” સુધી પહોંચે છે. આ સરકારમાં બેઠેલા લોકોના મળતીયાઓના, એમની ભાગીદારીથી અને આશીર્વાદથી આ ધંધા ચાલે છે. આ ધંધાનો પર્દાફાશ કરવા માટે અમારા સાથી ધારાસભ્ય વિમલ ચુડાસમા જયારે ઉભા થાય તો નિયમોની જોગવાઈને આગળ કરી એમને બોલવા દેવામાં ન આવે.
અમિત ચાવડા દ્વારા વિધાનસભાના અધ્યક્ષને જણાવ્યું હતું કે, કદાચ નિયમોની જોગવાઈ નહિ હોય પણ ગુજરાતમાં ગેરકાયદેસર ખનન થાય છે. સરકારની સંપત્તિ લુંટાઈ રહી છે ખનન માફિયાઓ બેફામ છે કોઈનો ડર નથી રહ્યો, અને એના માટે પ્રજાનો ચૂંટાયેલો પ્રતિનિધિ અવાજ ઉઠાવવાની વાત કરે તો સરકારે એ વાતને સાંભળવી જોઈએ, આગળ આવવું જોઈએ અને ખનન ચોરી અટકાવવી જોઈએ. પરંતુ ઉપરથી સરકારમાં બેઠેલા લોકો કહે છે કે આ તો ખોટી રજૂઆત કરે છે, મીડિયામાં આવવા માટેની વાત કરે છે એમ કરીને સાર્જન્ટ ધારસભ્ય વિમલ ચુડાસમા (Vimal Chudasama)ને ઊંચકીને બહાર લઇ જાય એનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર ખનન માફિયાઓ સામે લાચાર છે, દાદાના બુલડોઝરની વાતો ખુબ થાય છે પણ “દાદાનું બુલડોઝર ખાલી ગરીબો પર ચાલે છે”
અમિત ચાવડા (Amit Chavda) એ સરકારની નીતિ અને મનસા પર પ્રશ્ન ઉઠાવતા જણાવ્યું કે ગુજરાતના એકપણ ખનન માફિયા પર દાદાનું બુલડોઝર ચાલતું નથી. એ જ ખનન માફિયાઓ એમ કહે છે કે અમારો હપ્તો ગાંધીનગર સુધી પહોંચે છે કોઈ મોટા ચમરબંધીની તાકાત નથી કે અમારું આ ગેરકાયદેસરનું ખનન અટકાવી શકે, અને બીજી બાજુ સરકાર એમ કહે છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહિ આવે, એનો સ્પષ્ટ મતલબ છે કે સરકારના આશીર્વાદથી, એમના મળતીયાઓની ભાગીદારીથી આ ખનન માફિયાઓ બેફામ થયા છે, ગુજરાતની સંપત્તિ લુંટી રહ્યા છે. ગુજરાતીઓના હક્કનું લુંટી રહ્યા છે, સરકારની તિજોરીને મોટું નુકસાન કરી રહ્યા છે. એટલા માટે ખનન માફિયાઓ સામેની લડાઈ કોંગ્રેસનો ધારાસભ્ય જયારે લડે, વાત ઉઠાવે ત્યારે એને ગૃહમાંથી બહાર ફેંકી દેવામાં આવે છે એ સરકારની હકીકતો આજે જનતાએ જોઈ છે.