જૂનાગઢ,
જૂનાગઢ સિવિલ હોસ્પિટલના એચઆઇવી કાંડમાં સારવાર દરમિયાન વધુ એક બાળકીએ દમ તોડ્યો છે. સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2011માં એક બ્લડ બેન્ક દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકોને લોહી ચડાવવામાં આવ્યુ હતું. આ લોહી ચડાવ્યા બાદ 23 થી વધુ થેલેસેમિક બાળકોને એચઆઇવીનો રોગ લાગુ પડયો હતો. બાદમાં અનેક એજન્સી દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી હતી.
આ સમયગાળા દરમિયાન 7થી વધુ બાળકોનાં મોત થયા હતાં. તમામ તપાસ એજન્સીના રિપોર્ટ બાદ હાઇકોર્ટે આ કેસમાં ગુનો સાબિત થતો ન હોવાનું જણાવી કેસ ફાઇલ કર્યો છે. જો કે આવા અનેક થેલેસેમિયાથી પિડાતા અને એચઆઇવી ગ્રસ્ત બનેલા અસરગ્રસ્ત બાળકો હજુ સારવાર લઇ રહ્યા છે. આવી જ સારવાર દરમિયાન વધુ એક બાળકીનું મોત થયું છે.
2011માં થેલેસેમિયાના રોગની સારવાર દરમિયાન લોહી ચડાવતા એચઆઇવી લાગુ પડયો હતો. જો કે 7 વર્ષ જીંદગી સાથે જંગ ખેલ્યા બાદ આખરે હારી ગયેલી 11 વર્ષિય બાળકીએ દમ તોડી દેતા તેમના પરિવારજનો શોકમાં ગરકાવ થઇ ગયા છે.