ગાંધીનગર,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતને દેશભરમાં એક વિકાશશીલ રાજ્ય તરીકે બતાવવામાં આવે છે, પરંતુ સામે આવેલા વર્ષ ૨૦૧૮ના CAG (કોમ્પટ્રોલર ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા)ના રિપોર્ટમાં ચોકાવનારો ખુલાસો થયો છે.
૨૧૪૦ કરોડ રૂપિયાનો નથી કોઈ હિસાબ કિતાબ
CAGના આ રિપોર્ટમાં સામે આવ્યું છે કે, છેલ્લા ૧૬ વર્ષોથી સરકારના ૧૯ વિભાગો દ્વારા કરવામાં આવેલા કેટલાક ખર્ચનો હિસાબ આપવામાં આવ્યો નથી.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષ ૨૦૦૧થી લઇ ૨૦૧૫- ૧૬ વચ્ચેના ૧૬ વર્ષના સમયમાં ૨૧૪૦ કરોડ રૂપિયા ક્યાં ખર્ચ થયા તે અંગે સરકાર પાસે કોઈ હિસાબ કિતાબ જ નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ ૧૬ વર્ષોમાંથી ૧૪ વર્ષ એટલે કે ૨૦૦૧ થી લઇ ૨૦૧૪ સુધી હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા.
આ ઉપરાંત સામે આવ્યું છે કે, ૧૪.૪૧ કરોડ રૂપિયાના ઉચાપતના ૧૫૮ મામલાઓમાં સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
રાજ્ય સરકારનો આ હાલ ત્યારે જોવા મળ્યો જયારે રાજ્યના નાણાકીય નિયમ ૧૯૭૧ અને જનરલ ફાઇનાન્સિયલ નુયમ ૨૦૦૫ મુજબ કોઈ પણ સ્પેશિયલ સ્કીમ હેઠળ જો બજેટ ફાળવવામાં આવે તો નાણાકીય વર્ષ પૂરું થયાના વધુમાં વધુ ૧૨ મહિનામાં તેનો હિસાબ જમા કરાવવાનો હોય છે, જેથી ખબર પડી શકે કે, નાણાનો યોગ્ય પ્રમાણમાં ખર્ચ થયો છે કે નહિ.
રૂપિયાના ખર્ચમાં ગોળમાલ થયા હોવાની આશંકા

૩૧ માર્ચ, ૨૦૧૭ સુધી થયેલી CAGની તપાસમાં સામે આવ્યું છે કે, છેલ્લા ૧૬ થી ૧૭ વર્ષોમાં થયેલા તમામ કાર્યોનો હિસાબ કિતાબ ગાયબ છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, કુલ ૨૫૨૮ કાર્યો માટે જાહેર કરાયેલા ૨૨૮.૦૩ કરોડ રૂપિયાનો હિસાબ છેલ્લા ૮ વર્ષથી વધુ સમયથી લટકેલું છે.
આ ઉપરાંત ૬૪ કાર્યો માટે ૨૫૦.૯૬ કરોડ રૂપિયાના ખર્ચનો હિસાબ છેલ્લા ૬ થી ૮ વર્ષ તેમજ ૧૬૬.૫૦ કરોડ રૂપિયાના ખર્ચ માટે જરૂરી પ્રમાણપત્ર ચાર થી છ વર્ષ પત્યા બાદ પણ જમા થયા નથી. જયારે ૯૪૨.૨૫ કરોડ રૂ.નું યુટિલાઈઝેશન સર્ટિફિકેટ એક કે બે વર્ષથી લંબિત છે.
સરકારના આ વિભાગોમાં જોવા મળી સૌથી વધુ
CAGના રિપોર્ટમાં સામે આવેલા ૨૧૪૦ કરોડ રૂપિયાની કુલ ધનરાશિમાં ૪૧ ટકા ભાગ નગર વિકાસ વિભાગ પાસે હતો. અંદાજે ૮૭૦.૨૩ કરોડ રૂપિયાના કાર્યોમાં ખર્ચ કરાયેલા રૂપિયાનો ખર્ચ ઉપલબ્ધ કરવામાં આવ્યો નથી .
આ જ પ્રમાણે અર્બન હાઉસિંગ વિભાગ દ્વારા ૩૮૧.૧૩ કરોડ રૂપિયામાં ખર્ચનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું નથી. આ ઓડિટ દરમિયાન સામે આવ્યું છે કે, ૧૫૮ મામલાઓમાં ૧૪.૪૧ કરોડ રૂપિયાની ઉચાપત થઇ છે, પરંતુ સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
