અમદાવાદ
હાર્દિક પટેલના ઉપવાસનો 12મો દિવસ છે. ત્યારે હાર્દિક પટેલના ઉપવાસ મામલે પાસની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. પાસના નેતા મનોજ પનારાએ ભાજપ સહિત સી. કે. પટેલ પર પ્રહારો કર્યા હતા અને વધુમાં જણાવ્યુ હતુ કે, નવમી તારીખે પાટણથી યાત્રા નીકળશે. હાર્દિકના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરાશે. કાલે તમામ ધારાસભ્યોને ફોન કરાશે..પાસની કોઈ સાથે સી.કે.પટેલની વાતચીત થઈ નથી.
સી. કે. પટેલે મંગળવારે સરકાર સાથે થયેલી વાતચીત અંગે જણાવ્યું કે, ખેડૂતોના પ્રશ્નો તેમજ પાટીદારો પર થયેલા અત્યાચાર મામલે સરકાર સાથે ખૂબ આક્રમક રજૂઆત કરી છે. સરકારે પણ ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં ફરીથી આવું ન થાય તે માટે સંદેશ પાઠવ્યો છે.
બુધવારે સવારે સારા વાતાવરણ વચ્ચે પાસના આગેવાનો અને સંસ્થાના વતીથી આર.પી પટેલ વચ્ચે સારી મુલાકાત થઈ હતી. હાર્દિક પટેલ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે તે બાદમાં આગળ કંઈક થઈ શકે છે.
સી.કે.પટેલની પ્રેસ કોન્ફરન્સ બાદ પાસ તરફથી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પાસના પ્રતિનિધિ મનોજ પનારાએ કહ્યું હતું કે, સી.કે.પટેલ સાથે તેમના કોઈ પણ પ્રતિનિધિને રૂબરૂ કે ટેલિફોનિક કોઈ પણ પ્રકારની વાતચીત થઈ નથી.
જે લોકોએ તેમની સાથે વાતચીત કરી છે તે લોકો પાસના પ્રતિનિધિઓ નથી. પાસના આવા નિવેદન બાદ સી.કે.પટેલે ફરીથી પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે, આ બાબતે થોડી ગેરસમજણ થઈ છે. પાટીદારની છ સંસ્થાઓ અનામત મુદ્દે કોઈ જ વાતચીત નહીં કરે. જો હાર્દિક પટેલ લેખિતમાં રજુઆત કરશે તો જ સંસ્થાના પ્રતિનિધિઓ સરકાર સાથે મધ્યસ્થીની ભૂમિકા નિભાવશે.