વડોદરા: વડોદરાના ઉદ્યોગપતિ અને આઈપીએલના પૂર્વ ચેરમેન ચિરાયુ અમીનને ED (એન્ફોર્સમેન્ટ ડીપાર્ટમેન્ટ) દ્વારા શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. એલમ્બિક ફાર્માના ચિરાયુ અમીનની વિદેશી વ્હાઇટફિલ્ડ કેમટેક કંપનીએ ફેમાનો ભંગ કર્યો હોવાનું ઇડીની તપાસમાં સામે આવતા નોટિસ ફટકારવામાં આવી છે.
ફેમા (FEMA) ના ભંગ બદલ ED દ્વારા ચિરાયુ અમીનને નોટિસ ફટકારવામાં આવી છે. જયારે બીજી બાજુ અમદાવાદની અન્ય એક કંપની એવી સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ (સિન્ટેક્સ પ્લાસ્ટીકની ટાંકી)ના સંચાલકને પણ ઇડી દ્વારા શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે.
પનામા લો ફર્મના મોસાક ફોન્સેકાના જે દસ્તાવેજો (પનામા પેપર) બહાર આવ્યાં હતાં, તેમાં વડોદરાના એલમ્બિક ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના પ્રમોટર ચિરાયુ અમીનનું નામ પણ છે.
ચિરાયુ અમીને લંડનમાં પ્રોપર્ટી ખરીદવા માટે ટેક્સ હેવન દેશનો સહારો લીધો હતો. જેના અંતર્ગત આ દસ્તાવેજો મુજબ ચિરાયુ અમીન અને તેમના પરિવારના અન્ય સભ્યો પત્ની મલિકા અમીન, ત્રણ પુત્રો પ્રણવ અમીન, શૌનક અમીન અને ઉદીત અમીન વ્હાઈટફિલ્ડ ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડ કંપનીના બેનીફિશીયરી તરીકે નોંધાયેલા છે.
પનામા લો ફર્મ નામની આ કંપની 1 ઓક્ટોબર 2015ના રોજ મોસાક ફોન્સેકા દ્વારા બ્રિટિશ વર્જિન આઈસલેન્ડમાં સ્થપાઇ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચિરાયુ અમીન ઇન્ડિયન પ્રિમિયર લીગ (IPL)ના ચેરમેન તરીકે તેમજ બીસીસીઆઈના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે ભૂતકાળમાં કામગીરી બજાવી ચૂક્યા છે.
ચિરાયુ અમીન હાલમાં પણ બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે કાર્યરત છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આઈપીએલના ચેરમેન પદેથી લલિત મોદીને દૂર કરવામાં આવ્યા બાદ ચિરાયુ અમીનને આઈપીએલના ચેરમેન બનાવવામાં આવ્યા હતા.
