જામનગર,
હજુ નવા વર્ષના દિવસની શરૂઆત જ થઇ છે ત્યારે ખુબ જ દુઃખદ ઘટનાનો બનાવ સામે આવ્યો છે. જામનગર શહેરના કિસાન ચોક નજીક મોદીના વાડા પાસે રહેતા પરિવારના બે બાળકો સહિત પાંચ વ્યકિતઓએ ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલું કરી લેતાં સમગ્ર પંથકમાં ગમગીની મચી જવા પામી છે. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી આત્મહત્યા કરવા પાછળનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
પરિવારમાં એક વૃદ્ધ મહિલા, તેનો પુત્ર દિપક પન્નાલાલ સાકરીયા, દીપકભાઈની પત્ની આરતીબેન, દીપકભાઈની પુત્રી કુમકુમ (ઉં.10 વર્ષ), હેમંત દીપકભાઈ (ઉં.5 વર્ષ)નો આત્મહત્યામાં સમાવેશ થાય છે.

આપઘાત કરી લેનાર દંપતિ તેમજ તેના બંને બાળકોના મૃતદેહ એક જ બેડ પરથી મળી આવ્યા હતા. જ્યારે એક મહિલાનો મૃતદેહ બીજી બેડ પરથી મળી આવ્યો હતો. તમામના મૃતદેહ એક જ રૂમમાંથી મળી આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે આ પરિવારમાં પાંચ જ સભ્યો હતો. એટલે કે પરિવારના તમામ લોકોએ સામુહિક આપઘાત કરી લીધો છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસ તેમજ 108ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. સામુહિક આપઘાતના બનાવ બાદ પરિવારના ઘર બહાર પણ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

મળતી માહિતી મુજબ દીપકભાઈ ફરસાણનો ધંધો કરે છે, આર્થિક સંકડામણને કારણે ઝેરી દવા પી આત્મહત્યા કરી હોવાનું પોલીસ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
