હાલ ગુજરાતમાં પાણીની અછત સર્જાઈ છે, તો એક બાજુ પાણી બચતની વાતો થઈ રહી છે. તો બીજી બાજુ પીવા લાયક પાણી લીકેજના કારણે વહી રહ્યું છે. કચ્છના ચિરાઈ નજીક નર્મદાની મુખ્ય પાઈપલાઈનમાં ભંગાણ સર્જાયું હતું. પાઈપલાઈનમાં મોટું લીકેજ થવાના કારણે પાણીનો મોટા પ્રમાણમાં વેડફાટ થયો હતો.
કચ્છના ભચાઉ અને વરસામેડી ગામ વચ્ચે પસાર થતી નર્મદાની મેનલાઈનમાં એકાએક ભારે દબાણ આવતા જોશભેર પાણીનો ધોધ વછુટતાં પાણીનો મોટો ગુંજ બની ગયો હતો. જેના લીધે 50 લાખ લિટર પાણી વહી ગયું અને આસપાસના વિસ્તારમાં જાણે એક તળાવ બની ગયું હોય.
આ પાઈપલાઈનમાંથી રાપર અને ભચાઉને બાદ કરતા કચ્છના આઠ તાલુકામાં પાણી વિતરિત થાય છે. 18 કલાક પછી પણ લાઈનનું રિપેરિંગ પૂર્ણ થયું નહોતું અને હજારોની તરસ છીપાવી શકતા પાણીનો વેડફાટ થયો હતો.
