રાજકોટ: ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશમાં ચોમાસું ગમે તે ઘડીએ આગમન કરે તેવો માહોલ જોવા મળી રહ્યો છે. આજે શનિવારે વહેલી સવારથી જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના આકાશમાં મેઘાડંબર છવાય ગયો છે. સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં તો આજે સવારે અમી છાંટણાં પણ થયા હતા. અસહ્ય ગરમી બાદ આજે વહેલી સવારથી ચોમાસું પવન ફૂંકવાનું શરૂ થવાના કારણે આ વિસ્તારનાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.
સૌરાષ્ટ્ર સહીત સમગ્ર રાજ્યભરના લોકો પણ હવે સૂર્યનારાયણની અસહ્ય ગરમીથી અકળાઈ ઉઠ્યા છે અને કાગડોળે ચોમાસાની રાહ જોઇ રહ્યા છે. આ સંજોગોમાં સૌરાષ્ટ્રમાં આજે વહેલી સવારથી આકાશમાં કાળા ઘનઘોર વાદળો છવાઈ ગયા છે. જેના કારણે તાપમાનનો પારો થોડો નીચે ઉતર્યો છે. આજે સવારથી સૌરાષ્ટ્રમાં છવાયેલા મેઘાડંબરના કારણે રાજકોટથી જૂનાગઢ સુધીના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા સાથે અમી છાંટણાં થયા હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાતમાં 10 જૂને ચોમાસુ બેસે તેવી આગાહી
હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતમાં તા. 10થી 13 જૂન સુધીમાં ચોમાસું બેસી જશે તેવી આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં દર વર્ષે તા. 15 જૂનના રોજ ચોમાસું બેસી જાય છે, પરંતુ આ વર્ષે ચોમાસું બે-ત્રણ દિવસ વહેલું બેસી જશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ક્યાં ક્યાં વરસાદી માહોલ જોવા મળ્યો
રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ, રૈયા રોડ, યાજ્ઞિક રોડ પર વહેલી સવારે વરસાદી છાંટા પડ્યા હતા. જયારે રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં ગોંડલ, જેતપુર, વીરપુરથી લઇ જૂનાગઢ સુધીના વિસ્તારમાં આજે સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
સૌરાષ્ટ્રમાં છવાયેલા વરસાદી માહોલના કારણે જૂનાગઢ અને ગિર પંથકમાં કેરીના પાકને નુકશાન જવાની ભીતિ સ્થાનિક વિસ્તારના ખેડૂતો દ્વારા સેવવામાં આવી રહી છે. આ ભીતિના કારણે કેરીનો પાક લેતા ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે.
