જામનગર,
રીલાયન્સ ફાઉન્ડેશનએ મહાપાલિકાને આપેલા કરોડો રૂપિયાના સફાઈના સાધનો કચરામાં નાખી દેવાયાનું બહાર આવ્યું છે, ત્યારે સ્વચ્છતા મિશન અભિયાન માત્ર કાગાળો પર જ હોય તેવા આક્ષેપો શહેરના નગરસેવકો દ્રારા કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ મહાપાલિકાના શાસકો તેમજ અધિકારીઓ આ વાતને નકારી હકીકત છુપાવાનો પ્રયત્નો કરી રહ્યા છે.
અપને જણાવી દઈએ કે વર્ષ 2018 માં જામનગર મહાનગરપાલિકાને રીલાયન્સ ફાઉન્ડેશન તરફથી લગભગ એક કરોડની કિમતના સફાઈના સાધનો ભેટ સ્વરૂપે આપવામાં આવ્યાં હતા. રિલાઇન્સ કંપનીના વાઇસ ચેરમેન ધનરાજ નથવાણીના હસ્તે મહાપાલિકાને શહેરને સ્વચ્છ બનાવવાના ભાગરૂપે આ સાધનો આપવામાં આવ્યા હતા. ત્યારે હજુ તો આ સાધનો આવ્યાને એક વર્ષ પણ પૂર્ણ નથી થયું ત્યાં સાધનો કચરામાં બંધ હાલતમાં પડ્યા હોવાનું સામે આવ્યું છે.
મહાપાલિકાએ શોભાના ગાઠિયા સમાન પડતર હાલતમાં સફાઈના સાધનો મૂકી દેતા સફાઈ માત્ર કાગળો પર જ થતી હોવાનું નગરસેવકે આક્ષેપ કર્યો છે. જામનગરમાં સફાઈ રાખવામા તમામ પગલાં લેવાઈ રહ્યા છે તેવી ગુલબંગો ફૂંકનાર મહાનગરપાલિકાની ઘોર બેદરકારીઓ શહેરમાં અનેક સ્થળે નજરે પડે છે. ત્યારે રિલાયન્સે આપેલા કરોડોની કિમતના સફાઈના સાધનો ધૂળ ખાઈ રહ્યા છે. મહાપાલિકાના શાસકો અને અધિકારીઓ સફાઈના સાધનોનું મેઇનટેનસ પણ નથી કરી શકતા અને માત્ર વિકાસની વાતો કરી રહ્યા છે.
જામનગર મહાનગરપાલિકાને રીલાયન્સ ફાઉન્ડેશન એ આપેલા કરોડો ની કિમત ના સફાઈ સાધનો વિષે મંતવ્ય ન્યૂઝ દ્વારા પદાધિકારીએ તેમજ લાગત અધિકારીને પૂછતા, તેઓએ આ વાત સ્વીકારી ન હતી અને સમયસર સફાઈ શહેરમાં થતી હોવાનું ગુલબંગો મારી હતી. તેમજ બે થી ત્રણ સફાઈ ના સાધનો ને નાનું મોટું રિપેરિંગ કામ કરવાનું બાકી છે તે આગામી દિવસોમાં કરી શહેરમાં સફાઈના સાધનો દોડાવવામાં આવશે તેવું જણાવ્યુ હતું.
વધુમાં મહાપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને એ જણાવ્યુ હતું કે, રુટ બાય રુટ સાધનો ઉપયોગ માં લેવામાં આવે છે, જ્યારે સફાઈના કેટલાક મોટા સાધનો હોવાથી દિવસે શહેર ની ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે રાત્રે ઉપયોગમાં લેવાય છે તેવું જણાવી પોતાનું બચાવ કર્યો હતો.
રીલાયન્સ ફાઉન્ડેશનએ કરોડો ના ખર્ચે આપેલા જામનગર મહાનગરપાલિકાને સફાઈના સાધનો હાલ તો ધૂળ ખાઈ રહ્યા છે ત્યારે આગામી દિવસો માં તંત્ર આ બાબત ને ગંભીરતાથી લઈ શહેરને સ્વચ્છ બનાવવા કામગીરી શરૂ કરે તે જ ઇચ્છનીય છે.