સોમનાથ,
સોમનાથ મંદિર ખાતે સોમનાથ દાદાના દર્શન કરીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં સારા વરસાદ માટેની પ્રાર્થના કરી હતી.
ગુજરાતમાં જ નહિ સમગ્ર વિશ્વમાં સુપ્રસિદ્ધ એવા બાર જ્યોતિર્લીંગમાં પ્રથમ જ્યોતિર્લીગ એવા સોમનાથ મંદિરના દર્શનાર્થે મુખ્યમંત્રી વિજય રૂપાણી ગયા હતા. જ્યાં મુખ્યમંત્રી રૂપાણીએ ભગવાન સોમનાથ સમક્ષ શીશ ઝૂકાવીને સમગ્ર ગુજરાતની સુખશાંતિ તથા આગામી વર્ષાઋતુમાં સારા વરસાદ માટેની મંગલ કામના કરી હતી. આ ઉપરાંત તેમણે સરકારના સુજલામ્ સુફલામ્ જળ અભિયાનની સફળતાની મહેચ્છા માટે પણ શ્રી સોમનાથ દાદા સમક્ષ પ્રાર્થના કરી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સવારે ભારે આસ્થાભેર ભગવાન શ્રી સોમનાથના દર્શન કરવા માટે સોમનાથ પહોંચ્યા હતા. જ્યાં પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ દાદાની પૂજાઅર્ચન કરી હતી. જેમાં મંદિરના પૂજારી વિજય ભટ્ટે તેમને વૈદિક મંત્રોના ગાન સાથે સંક્ષિપ્ત મહાપૂજન કરાવ્યું હતું. વિવિધ દ્રવ્ય અને પંચામૃત સાથે જ્યોતિર્લિંગનું પૂજન અને અભિષેક કર્યો હતો. પૂજા બાદ મહાદેવની આરતી ઉતારી આશકા ગ્રહણ કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ગુજરાતના સર્વાંગી વિકાસ સાથે સારા વરસાદની મંગલકામના કરી હતી.
સોમનાથ દાદાના દર્શન કર્યા બાદ મુખ્યમંત્રીએ મંદિર પરિસરમાં રહેલી ભારત રત્ન સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પાસે પહોંચ્યા હતા અને ત્યાં તેમણે અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલને પુષ્પાંજલી અર્પણ કરી હતી.