અમદાવાદ: રાજકોટ શહેરમાં જુદા જુદા ત્રણ સ્થળોએ મહિલા સહિત ત્રણ વ્યક્તિ બેભાન થઈ જતાં તેમના મોત નીપજયા હોવાનું રાજકોટની સિવિલ હોસ્પિટલમાં નોંધાયું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ શહેરના મોરબી રોડ પર આવેલ જય જવાન જય કિસાન સોસાયટીમાં રહેતો મનિષ ભુપતભાઈ કસદડિયા (ઉ.વ.20) નામનો યુવાન આજે સવારે પોતાના ઘરે હતો. ત્યારે અચાનક બેભાન થઈ ગયો હતો. જેથી તેને બેભાનાવસ્થામાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો.
જયારે આવા જ એક અન્ય બનાવમાં રાજકોટ શહેરના સંત કબીર રોડ પર આવેલી નંદુબાગ સોસાયટીમાં રહેતા સાવિત્રીબેન નેણસીગ પરમાર (ઉ.વ.55) નામની મહિલા આજે સવારે પોતાના ઘરે અચાનક બેભાન થઈ ગઈ હતી. જેના કારણે સાવિત્રીબેનના પરિવારજનો તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલના ફરજ પરના તબીબોએ જોઈ તપાસી તેણીને મૃત્યુ પામેલાં જાહેર કરવામાં આવ્યા હતા.
જયારે અન્ય એક બનાવમાં રાજકોટ બસ સ્ટેશનમાં જામનગરથી આવેલા મુસાફર ભાસ્કરભાઈ અમૃતભાઈ બારોટ (ઉ.વ.70) નામના વૃદ્ધ બેભાન હાલતમાં મળી આવ્યા હતા. જેથી તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. હોસ્પિટલના તબીબોએ ભાસ્કરભાઈનું મૃત્યુ હાર્ટએટેક આવવાના કારણે બેભાન થઈ જતાં મોત થયુ હોવાનું જણાવ્યું હતું.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આ ત્રણેય વ્યક્તિના મૃત્યુ અંગે પોસ્ટમોર્ટમ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
