અમદાવાદ: દિવાળીના તહેવારો હજુ પૂર્ણ થયા નથી ત્યાં જ સુરેન્દ્રનગરમાં ST બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નીપજ્યાં હોવાનું વિગતો પ્રાપ્ત થઈ રહી છે.
સામાન્ય રીતે ગુજરાતમાં માર્ગ અકસ્માત તો છાસવારે બનતા જ રહે છે. જેમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે. હાલમાં દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે ત્યારે લોકો ફરવા માટે નીકળતા હોય છે. જેના પગલે ધોરી માર્ગો ઉપર વાહનોનો ભારે ધસારો રહે છે. આવા સંજોગોમાં સુરેન્દ્રનગરમાં ST બસ અને કાર વચ્ચે રવિવારે સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોત નીપજ્યાં હતા.

આ અકસ્માત અંગે સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગરના વઢવાણનો કંદોઇ પરિવાર દર્શન કરવા માટે જઇ રહ્યો હતો ત્યારે તેમની કારને અકસ્માત નડ્યો હતો. આ ઘટનાના પગલે સ્થાનિક લોકોના ટોળા એકઠાં થયા હતા. આ અકસ્માતની જાણ થતાંની સાથે પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમે સ્થળ ઉપર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી આનુસાર રવિવારે વહેલી સવારે વઢવાણથી કોઠારિયા રોડ ઉપર એસટી બસ અને ઇન્ડિકા કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વઢવાણનો કંદોઇ પરિવાર દર્શન કરવા માટે કારમાં જઇ રહ્યો હતો, ત્યારે રોડ ઉપર પસાર થતી એસટીની બસે કારને પાછળથી ટક્કર મારી હતી. જેના લીધે કાર રોડની સાઈડના ભાગમાં ફંગોળાઈ ગઈ હતી.

કાર રોડની સાઈડમાં ફંગોળાઈ જવાના કારણે કારમાં સવાર કંદોઇ પરિવારના સભ્યો પૈકી ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. આ અકસ્માતના પગલે ઘટના સ્થળે સ્થાનિક લોકોના મોટી સંખ્યામાં ટોળાં એકઠાં થયા હતા.
આ અકસ્માતની જાણ થતાંની સાથે પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. 108ની ટીમે અકસ્માતગ્રસ્ત કારમાંથી ત્રણ વ્યક્તિના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. જ્યારે અન્ય ત્રણને ઇજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
