Jamnagar News : ચાઇના થી પ્રસરેલા એચ.એમ.પી.વી. નામના વાઇરસ ધરાવતો એક પોઝિટિવ કેસ ગુજરાતમાં નોંધાતાં રાજ્ય નું આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. અને સાથો સાથ જામનગર ની સરકારી જી.જી. હોસ્પિટલમાં પણ આજે તાકીદ ની બેઠક બોલાવાઈ હતી. જેમાં સંભવિત રોગ નાં દર્દી માટે આઇશોલેશન વોર્ડ તૈયાર કરવા સહિત નાં મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
ચાઇના થી એચ.એમ.પી.વી. નામનો એક વાઇરસ પ્રસર્યો છે. આ વાયરસના લક્ષણ ધરાવતા એક દર્દી નો ગુજરાતમાં પોઝિટિવ રિપોર્ટ મળતાંજ રાજ્યનું આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે, અને રાજ્ય સરકારની સૂચના મુજબ જામનગર નું આરોગ્યતંત્ર અને સરકારી હોસ્પિટલનું તંત્ર પણ સાબદુ બન્યું છે.
આજે સાંજે પાંચ કલાકે જામનગર ની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં તબીબી અધિક્ષક ડો. દીપક તિવારી ના અધ્યક્ષ સ્થાને સંબંધિત વિભાગ ના તબીબો ની એક તાકીદ ની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં એમ. પી. શાહ મેડિકલ કોલેજના ડીન ડો. નંદીની દેસાઈ, અધિક ડીન ડો. એસ. એસ. ચેટરજી , ઉપરાંત જુદા જુદા અન્ય વિભાગના તબીબો ઉપસ્થિત રહ્યા હતા. અને હોસ્પિટલમાં ઉપલબ્ધ સાધનો, દવા મશીનરી, ઓક્સિજન વગેરે ની ઉપલબ્ધિ સહિત ના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
ડો. તિવારી અને ડો. ચેટરજી ના જણાવ્યા પ્રમાણે આ એક જુનો વાયરસ છે. અને ન્યૂમોનિયા જેવા લક્ષણ ધરાવતી બીમારી છે .જેનાથી ગભરાવાની કોઈ જરૂર નથી. ખાસ કરીને પાંચ વર્ષ થી નાના બાળકો અને ૭૦ વર્ષથી વધુ ઉમરના વૃદ્ધો ને થોડી સાવચેતી રાખવી જરૂરી છે. હોસ્પિટલમાં ઓક્સિજન, વેન્ટિલેટર, દવાનો જથ્થો ઉપરાંત બાળકો ની સારવાર માટે જરૂરી એચએસએનસી મશીનરી વગેરે પણ ઉપલબ્ધ છે.
જી.જી. હોસ્પિટલમાં કુલ ૩૦ બેડ વાળા બે વોર્ડ ને તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેથી જરૂર પડયે આ વોર્ડ નો ઉપયોગ કરી શકાય. આમ છતાં પણ કોઈને તાવ- શરદી- ઉધરસ કે શ્વાસની બીમારી લાગુ પડે, તો નજીક ના આરોગ્ય કેન્દ્ર માં અથવા તો જી જી હોસ્પિટલ નો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.
આ પણ વાંચો: જાણો HMPV વાયરસથી કેવી રીતે બચી શકાય : દેશમાં અત્યાર સુધીમાં ત્રણ કેસ
આ પણ વાંચો: HMPV વાયરસ કર્ણાટક પહોંચ્યો, બેંગલુરુમાં 2 સંક્રમિત; આરોગ્ય મંત્રીએ ઈમરજન્સી બેઠક બોલાવી
આ પણ વાંચો: ગુજરાત સરકાર એક્શન મોડમા,વિદેશથી આવનાર માટે HMPVની એડવાઈઝરી જાહેર કરાશે
