નાણામંત્રી નિર્મલા સીતારમણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાના પ્રશ્ન પર કહ્યું કે તેઓ દેશના વપરાશકારોની જરૂરિયાતને સમજે છે પરંતુ આ કેસમાં સરકારની સામે ‘ધર્મસંકટની સ્થિતિ’ છે. તેમણે કહ્યું કે કેટલાંય એવા સંકેત મળી રહ્યા છે જેના પરથી એ સાબિત થાય છે કે અર્થતંત્રમાં સુધારો થઇ રહ્યો છે.
નાણાંમંત્રી જે ધર્મસંકટની વાત કરી રહ્યા છે હકીકતમાં તે એ છે કે પેટ્રોલના ભાવ બજારના હવાલે છે એટલે કે તેની કિંમત હવે ઓઇલ કંપનીઓ નક્કી કરે છે. બીજીબાજુ કોરોના કાળમાં રેવન્યુ કલેકશનમાં ઘટાડો જોતા સરકાર માટે ટેક્સમાં ઘટાડો કરવો પણ ખૂબ જ મુશ્કેલ કામ છે.
મહત્વનું છે કે પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો હિસ્સો કેન્દ્ર અને રાજ્ય સરકારોને ટેક્સમાંથી જ થાય છે. દિલ્હીમાં 91 રૂપિયા પ્રતિ લીટરની આસપાસ જે પેટ્રોલ વેચાઇ રહ્યું છે તેના પર અંદાજે 54 રૂપિયાનો તો ટેક્સ આપવો પડી રહ્યો છે. આથી ચારેબાજુથી માંગ ઉઠી રહી છે કે પેટ્રોલ-ડીઝલ પર કરવેરામાં ઘટાડો કરવો જોઇએ.