Ahmedabad News: અમદાવાદ ના એસજી હાઇવે પર વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની છે. પહેલી ડિસેમ્બરના રોજ સવારે, ગાંધીનગરથી બાઇક પર કામ પર જઈ રહેલા કથન ખારચર નામના યુવાનને નિરમા યુનિવર્સિટી નજીક અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી હતી. આ યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. એસજી-1 ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નિરમા યુનિવર્સિટી નજીક તેને ટક્કર મારનાર ડ્રાઇવર ફરાર છે.
અમદાવાદ માં વધુ એક હિટ એન્ડ રન
માહિતગાર સૂત્રોના જણાવ્યા મુજબ 21 વર્ષીય કથન ખારચર ગાંધીનગરમાં તેના મામાના ઘરે રહે છે. કથન વાયએમસીએ નજીક એક ખાનગી કંપનીમાં કામ કરે છે. હંમેશની જેમ, આજે (૧ ડિસેમ્બર) સવારે કથન પોતાની બાઇક પર કામ માટે ગાંધીનગરથી નીકળ્યો હતો. નિરમા યુનિવર્સિટી પાસે પહોંચતી વખતે, કથનને એક અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી હતી. તેના કારણે તેને ગંભીર ઇજાઓ થઈ હતી અને તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
અકસ્માતની આ ઘટનાની માહિતી મળતાં ટ્રાફિક પોલીસ અને મૃતક યુવાનનો પરિવાર ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તેમના નાના પુત્રના મૃત્યુ બાદ પરિવાર દુ:ખી થઈ ગયો હતો. ટ્રાફિક પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અકસ્માત સર્જનાર અજાણ્યા વાહન ચાલકની ઓળખ માટે વધુ તપાસ શરૂ કરી છે. એસજી 1 ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ આર.વી. વીંછીએ જણાવ્યું હતું કે અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક ભાગી ગયો હતો. પોલીસ એસજી હાઇવે પર સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે.
