રાજકોટમાં વિપ્ર પરિવાર સામુહિક આત્મહત્યા કેસમાં ગંભીરતાને ધ્યાને લઇ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે તલસ્પર્શી તપાસ કરવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશ ટીમ (સિટ)ની રચના કરી છે. જેમાં અધ્યક્ષ સ્થાને ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા રહેશે. એસીપી જે. એસ. ગેડમ તથા એસઓજી પીઆઇ આર. વાય. રાવલ અને તેમની ટીમ ઉંડાણપુર્વક તપાસ કરી મુળ સુધી પહોંચશે.હાલ પોલીસે આરોપી દિલીપ કોરાટની ધરપકડ કરી જેલમાં મોકલી દીધો છે. જ્યારે વકીલ આર.ડી.વોરા ફરાર હોવાથી શોધખોળ કરવામાં આવી રહી છે. પોલીસે આર.ડી.વોરાના પાસપોર્ટ પણ કબ્જે કર્યો છે.

રાજકોટમાં ચર્ચાસ્પદ બનેલા આ કેસમાં નાના મવા રોડ પર અજમેરા શાસ્ત્રીનગર સામે આવેલા શિવમ્ પાર્ક-2 માં રહેતાં કર્મકાંડી બ્રાહ્મણ યુવાન કમલેશભાઇ રામકૃષ્ણભાઇ લાબડીયાએ પોતાના યુવાન પુત્ર અંકિત અને પુત્રી કૃપાલીને કોરોનાની દવા છે તેમ કહી ઝેરી દવા પીવડાવી પોતે પણ પી સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો.પહેલા પુત્ર, પછી પિતા કમલેશભાઇ અને બાદમાં પુત્રીનું મોત થયું હતું.

આ બનાવમાં તાલુકા પોલીસે મૃતક કમલેશભાઇના ભાઇ કાનજીભાઇ લાબડીયાની ફરિયાદ પરથી તાલુકા પોલીસે વકીલ આર. ડી. વોરા અને દિલીપ જીવરાજભાઇ કોરાટ સામે આઇપીસી 306, 406, 384, 114, 120-બી મુજબ ગુનો નોંધ્યો હતો.આ બંનેએ કાવતરુ કરી કમલેશભાઇનું 1 કરોડ 29 લાખના મકાનનો સોદો કરી સુધીના રૂ. 51 હજાર અને બીજા 20 લાખ ચુકવી બાકીના સાટાખત વખતે આપવાનો વાયદો કર્યા બાદ સાટાખત કરવાના દિવસે પૈસા તો તમને આપી દીધા છે કહી ઠગાઇ કરતાં કમલેશભાઇ મરવા અને સંતાનોને મારવા મજબૂર થયાનો ગુનો નોંધ્યો હતો.

