Jamnagar News : જામનગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક પરિણીત મહિલાએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. બુલેટસવાર પતિને પત્નીએ પ્રેમીને ટિપ આપીને મોતને ઘાટ ઉતાર્યો હતો, આ ઘટના વિજરખી ડેમ નજીક બની હતી, જે લગ્નેતર સંબંધોને કારણે થયેલી સમાજ માટેની ગંભીર સવાલ બની છે.ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે આ કેસમાં મૃતક રવિ ધીરજલાલ મારકણાની પત્ની રિંકલ અને તેના પ્રેમી અક્ષય છગન ડાંગરિયાના આડાસંબંધો આ હત્યાનું મુખ્ય કારણ છે.
મૃતકના કાકા પરેશ મારકણાએ જણાવ્યું હતું કે કાલાવડથી જામનગર આવતા અકસ્માત નડ્યો હતો. ત્યાર બાદ અમે તપાસ કરતાં માલૂમ પડ્યું કે આ બધું જાણીજોઈને પહેલેથી કાવતરું ઘડવામાં આવ્યું હતું અને આ બાબતે અમને ન્યાય જોઈએ છે. મારા કાકાના છોકરા પાસે બુલેટ હતું અને પાછળ ગાડી હતી. કારણ પ્રાથમિક રીતે એવું જાણવા મળ્યું હતું કે પ્રેમપ્રકરણ હોય એવું માલૂમ પડ્યું છે. ક્યારે અમને કાંઈ જણાવ્યું નહોતું, પણ અંદરને અંદર ખબર હોય તો અમને ધ્યાનમાં નથી. લગ્નને સાતથી આઠ વર્ષ થયાં, ત્યારે તેમનો બાબો છ વર્ષનો છે.રવિવારે (6 એપ્રિલે)સાંજે રવિ તેની બુલેટ મોટરસાઈકલ (GJ-27-DJ-9310) પર કાલાવડ જવા નીકળ્યો હતો. રિંકલ પાસે આ માહિતી હતી અને તેણે આ જાણકારી અક્ષયને આપી હતી. અક્ષય તેની જીપ કમ્પાસ (GJ-20-AQ-8262)માં રવિનો પીછો કરવા લાગ્યો હતો.
વિજરખી ડેમ નજીક સાંજે પોણાપાંચ વાગ્યે અક્ષયે પોતાની કારથી રવિની બુલેટને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રવિને માથા અને શરીરે ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.મૃતક રવિ ધીરજલાલ મારકણા (ઉંમર 30)ની પત્ની રિંકલના અક્ષય છગન ડાંગરિયા સાથે પ્રેમસંબંધ હતા. આ સંબંધને કારણે રિંકલ અને રવિ વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. આ ઝઘડાઓએ અંતે રિંકલ અને અક્ષયને રવિની હત્યા કરવાનું કાવતરું ઘડવા પ્રેરિત કર્યા હતા.મૃતકના પિતા ધીરજલાલ મારકણાએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. શેખે ઘટનાની તપાસ શરૂ કરી છે. આરોપી રિંકલ તથા અક્ષય વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો. પ્રાથમિક તપાસમાં ખૂલ્યું કે આ અકસ્માત નહીં, પરંતુ પૂર્વ આયોજિત હત્યાનું કાવતરું હતું. હાલ પોલીસે બંને આરોપીની શોધખોળ શરૂ કરી છે.
આ ઘટના કળિયુગમાં વધી રહેલા લગ્નેતર સંબંધો અને એને કારણે થતી હિંસક ઘટનાઓની ગંભીરતા દર્શાવે છે. આ પ્રકારની ઘટનાઓ સમાજ માટે ચિંતાજનક છે તથા સંબંધોમાં વિશ્વાસ અને નૈતિકતાના અભાવને ઉજાગર કરે છે. પોલીસ દ્વારા આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે અને આરોપીઓને ઝડપથી પકડીને કાયદાના ચુંગાલમાં લાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.DySP રાજેન્દ્ર દેવધાએ જણાવ્યું હતું કે પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે રવિની પત્ની રિંકલબેનના અક્ષય ડાંગરિયા સાથે આડાસંબંધો હતા. આ સંબંધો રવિના જીવનમાં વિઘ્નરૂપ બનતા હતા.
રિંકલ અને અક્ષયે મળીને રવિભાઈને માર્ગમાંથી દૂર કરવા માટે એક કાવતરું ઘડ્યું હતું. રિંકલ દ્વારા રવિભાઈનું લોકેશન ટેલિફોનિક સંપર્ક દ્વારા અક્ષયને આપવામાં આવ્યું હતું. આ માહિતીના આધારે અક્ષયે રવિભાઈને ફોલો કરીને તેમની બુલેટને ટક્કર મારી હતી.રવિના પિતા દ્વારા રિંકલની પૂછપરછ કરવામાં આવી હતી. શરૂઆતમાં તેણે આ મામલે આનાકાની કરી હતી, પરંતુ અંતે કબૂલાત આપી કે “અમે છૂટા થવા માગતા હતા અને અમારા આડાસંબંધો આમાં વિઘ્નરૂપ બનતા હતા, આથી અમે રવિને મારી નાખવાનું કાવતરું ઘડ્યું હતું.”ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ જણાવ્યું હતું કે આ કેસમાં બંને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ કરવામાં આવશે. હાલ પંચે પોલીસ સ્ટેશન દ્વારા આ ગુનાની તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો: ગીર સોમનાથમાં 31 ડિસેમ્બર પૂર્વે વેરાવળના બંદરમાં પોલીસનું સઘન ચેકીંગ
આ પણ વાંચો: જૂનાગઢ-વેરાવળ હાઇવે પર પરના અકસ્માતમાં પાંચ વિદ્યાર્થી સહિત સાતના મોત
