પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ કથિત નિવેદન આપવાના મામલામાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ કરવામાં આવેલી અરજી પર અદાલતે તેમનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. હવે દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટ આગામી સુનાવણીમાં નિર્ણય કરશે કે રાહુલ ગાંધી પર દેશદ્રોહનો કેસ દાખલ કરવો કે નહીં.
ઉલ્લેખનીય છે કે અગાઉની સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસ દ્વારા આ કેસમાં કાર્યવાહીનો રીપોર્ટ (એટીઆર) રજૂ કર્યો હતો. આમાં પોલીસ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ નિવેદન આપવા મામલે કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ દેશદ્રોહ અથવા કોઈ ગુનાહિત કેસ નથી બનતો. અદાલતે 26 એપ્રિલે દિલ્હી પોલીસથી એટીઆર માંગી હતી.
ઉલ્લેખનીય છે કે 2016માં રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદી માટે ખૂન કી દલાલી શબ્દ પ્રયોગ કર્યો હતો,જેની સામે ફરિયાદ કરવામાં આવી હતી.વકીલ જોગેન્દ્ર તુલીએ રાહુલ ગાંધી સામે દેશદ્રોહની FIR દાખલ કરવા કોર્ટમાં ફરિયાદ કરી હતી.
કોર્ટમાં પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલ અહેવાલમાં જણાવાયું છે કે રાહુલ ગાંધી વિરુદ્ધ કોઈ પણ ગુનો નથી બનતો. રાહુલના નીવેદન વિરુદ્ધ પીએમ મોદી પોતે માનહાનીની ફરિયાદ કરી શકે છે.
કોર્ટ સમક્ષ તુલીએ 26 એપ્રિલે કહ્યું હતું કે રાહુલ ગાંધીના આ નિવેદન અખબારોમાં પ્રકાશિત કરવામાં આવ્યા હતા અને પોલીસ પાસે વિડીયો રેકોર્ડિંગ પણ છે. તે વિડીયો રેકોર્ડિંગમાં તેમને ન મળી શકે પરંતુ કોર્ટ તે મંગાવી શકે છે. આ મામલા જંતર-મંતર પર વર્ષ 2016 માં યોજાયેલી ખેડૂતોની રેલીમાં વડાપ્રધાન મોદી પર અપમાનજનક નિવેદનને આરોપ સાથે જોડાયેલું છે. કોર્ટે તેમનો ઓર્ડર 7 જૂન પર રિઝર્વ રાખ્યો હતો.