ભાવનગર લોકસભા સીટનું સૌરાષ્ટ્રમાં ખુબ મહત્વ છે. ભાવનગર બેઠક કોંગ્રેસનો ગઢ ક્યારે બની નથી. વળી ભાવનગરની ઓળખની વાત કરવામાં આવે તો ભાવનગરનાં ગાંઠિયાની વાત ન થાય તે ન બની શકે. ભાવનગરમાં સૌથી મોટી સમસ્યા જોવા મળતી હોય તો, મોઘવારી, બેરોજગારી, પાકનાં ભાવ અંદોલન, પાટીદાર, કારડીયા રાજપૂત, અહીર જ્ઞાતિ વગેરેનો રોષ, ખેડૂતોનાં આંદોલન, રોડ પાણીની છે. ભાવનગર લોકસભામાં સમાવિષ્ટ 7 વિધાનસભા સીટોમાં તળાજા, પાલિતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પશ્ચિમ, ભાવનગર પૂર્વ, ગઢડા અને બોટાદનો સમાવેશ થાય છે. ભાવનગર લોકસભાની જાતિવાદી ગણીતની વાત કરવામાં આવે તો કોળી ૨૨, પાટીદારો ૧૮, ક્ષત્રિય ૧૦, સવર્ણો ૧૨ અને દલિત ૭ ટકા છે.
ભાવનગરનો રાજકીય ઈતિહાસ
ભાવનગર લોકસભા બેઠક ૧૯૬૨ થી અસ્તિત્વમાં આવી. ભાવનગરની લોકસભાની બેઠકમાં સૌથી વધુ વસ્તી કોળી, પાટીદાર અને ક્ષત્રીય સમાજની છે. તેથી બંને ભાજપ કોંગ્રેસ પક્ષો આ ત્રણ સમાજના ઉમેદવારો પસંદ કરે છે. ભાવનગર લોકસભાની સીટ 1991 થી ભાજપનો દબદબો રહ્યો છે અને સાત વખત જીત મેળવી છે. ભાજપ ઉમેદવાર ડૉ.ભારતીબેન શિયાળ બે વખત જીલ્લા પંચાયતનાં પ્રમુખ રહી ચુક્યા છે. અને એક વાર સાંસદ તરીકે વિજય બન્યા હતા જેમાં ગુજરાતમાં સૌથી વધુ બે લાખ કરતા વધુ મતે જીત મેળવી હતી. તેઓ બી.એ.એમ.એસ. મહિલા તબીબ છે. જેની પાસે 83,22,505ની જંગમ મિલકત છે. વળી કોંગ્રેસ ઉમેદવાર મનહરભાઈ પટેલની વાત કરીએ તો તે, કોંગ્રેસનાં અગ્રણી અને પક્ષનાં પ્રવક્તા પણ છે. મોટાભાગે ડીબેટ શો માં કોંગ્રેસ પક્ષ તરફ થી પ્રવક્તા તરીકે તેઓ હાજરી આપે છે. જેની પાસે ૭૨,૨૬,૩૪૮ રૂ. જંગમ મિલકત છે.
ભાવનગર લોકસભા બેઠકનાં આવા છે પડતર પ્રાણ પ્રશ્નો
સ્થાનિક પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં ભરતીબેન સક્રિય રહ્યા છે પણ તેને ઉકેલવામાં નિષ્ફળ નીવડ્યા છે. જેમાં જોવા જઈએ તો ભાવનગરને રેલ્વે સુવિધામાં બે – ચાર લાંબા અંતરની ટ્રેનો સિવાઈ કઈ મળ્યું નથી અને રેલ્વે માટે મોટો પ્રશ્ન ભાવનગર અમદાવાદ બ્રોડગેજનું કામ હજુ અટકીને પડ્યું છે. જે ગોકુલ ગાય ની ગતિએ ચાલે છે. આ લાઈનનું કામ પૂર્ણ થાય તો ભાવનગર અને બોટાદ બંને જિલ્લાને ખુબ મોટો ફાયદો થાય છે. જે બંને જીલ્લા ભાવનગર ૧૫ લોકસભા સીટમાં આવે છે.બીજી બાજુ રો રો ફેરી સર્વિસનો પ્રારંભ તો થયો છે પરંતુ તેના સતત પ્રશ્નો પણ ઉભા થાય છે. ભાવનગરમાં ખાસ કરીને ઔદ્યોગિક વિકાસ મામલે ભાવનગરમાં જે થવું જોઈએ તેમાં નિષ્ફળતા રહી છે. સૌરાષ્ટ્રના જીલ્લાઓમાં ભાવનગર રહી ગયો છે. તે ખુદ સાંસદ પણ સ્વીકારે છે.
ભાવનગર લોકસભા બેઠક પર આ બે બળીયાઓ વચ્ચે છે ખરાખરીનો જંગ
ભાવનગરમાં ભાજપે ભારતીબેન શિયાળને એકવાર ફરી રિપીટ કર્યા છે. ભારતીબેન માત્ર 21 વર્ષની વયે ભાજપનાં સભ્ય બન્યા હતા. તો સામે કોંગ્રેસે મનહર પટેલ જેવા કર્માઠ દિગ્ગજ પાટીદાર નેતાને મેદાનમાં ઉતાર્યા છે. મનહરભાઈ પટેલ કોંગ્રેસના અગ્રણી અને પ્રવક્તા હોવાની સાથે સાથે પ્રજા પ્રશ્ને હંમેશા અગ્રણીય રહ્યા છે.