Not Set/ બોલીવુડ ચાંદની શ્રીદેવીનું હૃદય રોગના હુમલાથી દુબઈમાં નિધન, ચાહકોમાં શોકની લાગણી

દુબઈ, પોતાના શાનદાર અભિનયથી ચાહકોના મન પર રાજ કરનારી અને બોલીવુડના ખ્યાતનામ અભિનેત્રી શ્રીદેવી આ દુનિયામાં રહ્યા નથી. શ્રીદેવીનું ૫૫ વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયું છે. શનિવારની રાત્રે દુબઇમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયેલા શ્રીદેવીને અચાનક હૃદય રોગનો હુમલો આવ્યો હતો અને તેઓનું નિધન થઈ ગયું છે. શ્રીદેવી તેઓના પતિ બોની કપૂર અને નાની […]

Entertainment

દુબઈ,

પોતાના શાનદાર અભિનયથી ચાહકોના મન પર રાજ કરનારી અને બોલીવુડના ખ્યાતનામ અભિનેત્રી શ્રીદેવી આ દુનિયામાં રહ્યા નથી. શ્રીદેવીનું ૫૫ વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયું છે. શનિવારની રાત્રે દુબઇમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયેલા શ્રીદેવીને અચાનક હૃદય રોગનો હુમલો આવ્યો હતો અને તેઓનું નિધન થઈ ગયું છે. શ્રીદેવી તેઓના પતિ બોની કપૂર અને નાની પૂત્રી ખુશી સાથે મોહિત મારવાહના લગ્ન સમારોહમાં ભાગ લેવા માટે દુબઈ ગયા હતા. પરંતુ તેની મોટી પુત્રી જ્હાનવી મુંબઈમાં જ છે. તે શુટિંગની વ્યસ્તતાના કારણે દુબઈ જઈ શકી ન હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, તેઓના પાર્થિવ શરીરને બપોર સુધીમાં મુંબઈ લાવવામાં આવી શકે છે.

મોહિત મારવાહ નોઇડા ફિલ્મ સિટીના ફાઉન્ડર સંદીપ મારવાહના પુત્ર છે. તેઓ બોની કપૂરના ભાણેજ અને અર્જુન કપૂર અને સોનમ કપૂરના પિતરાઈ ભાઈ છે. અભિનેત્રી શ્રીદેવી સાથે સંજય કપૂર પણ દુબઈ ગયા હતા. સંજય કપૂર રાત્રે ૧૨ વાગ્યે દુબઈથી મુંબઈ આવ્યા હતા પરંતુ મુંબઈ પહોંચતા જ શ્રીદેવીના નિધનના સમાચાર મળતા જ તેઓ પાછા દુબઈ ફર્યા હતા.

શ્રીદેવીના અચાનક થયેલા નિધનના સમાચાર જાણીને કોઈ વિશ્વાસ કરી શકતુ નથી. આ દુઃખદ નિધનના સમાચાર મળતા લોકોમાં પણ શોકની લાગણી જોવા મળી રહી છે. મુંબઈ ખાતેના ઘરે આ અભિનેત્રીના પ્રશંસકો ભેગા થઈ રહ્યાં છે.

ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે જુલી ફિલ્મથી ડેબ્યુ કર્યું

૫૫ વર્ષીય ખ્યાતનામ અભિનેત્રી શ્રીદેવીનો જન્મ ૧૩ ઓગસ્ટ, ૧૯૬૩ના રોજ તમિલનાડુમાં થયો હતો અને ૧૯૭૫માં આવેલી ફિલ્મ જુલીથી ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ડેબ્યુ કર્યું હતું. શ્રીદેવીને બોલીવુડની પહેલી ફિમેલ સુપરસ્ટાર ગણવામાં આવતી હતી. એક ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ શરૂ કરનાર શ્રીદેવીને વર્ષ ૨૦૧૩માં “પદ્મશ્રી” સન્માનથી નવાજવામાં આવ્યા હતા. આ ખ્યાતનામ અભિનેત્રી ૭ જુલાઈ, ૨૦૧૭ના રોજ અંતિમ વખત “મોમ” ફિલ્મમાં જોવા મળ્યા હતા.

https://twitter.com/RamnathKovind1/status/967511522472640512

બીજી બાજુ શ્રીદેવીના અચાનક થયેલા દુઃખદ નિધન બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટર દ્વારા શોક વ્યક્ત કર્યો હતો. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, “ફિલ્મ સ્ટાર શ્રીદેવીના નિધનથી દુઃખી છું , તેઓ લાખો લોકોના પ્રશંસકોના દિલ તોડીને ગયા છે. તેઓના પરિવારજનો અને નજીકના લોકો માટે મારી સંવેદના છે.

પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ દ્વારા જણાવ્યું હતું કે, “ખ્યાતનામ અભિનેત્રી શ્રીદેવીના અચાનક થયેલા દુઃખદ નિધનથી હું દુઃખી છું. રૂપેરી પડદે લાંબા કેરિયરમાં તેઓએ અલગ-અલગ પ્રકારના યાદગાર રોલ નિભાવ્યા છે. હું આ દુઃખના સમયમાં પરિવાર સાથે છું. તેઓની આત્માને શાંતિ મળે”.

બોલીવુડની ડ્રીમ ગર્લ કહેવાતા હેમા માલિનીએ આં અંગે જણાવ્યું હતું કે, આ ખબર મળતા જ શોક લાગ્યો હતો. અમે વિચાર્યું ન હતું. તેઓએ પોતાના ટેલેન્ટ દ્વારા ઘણા લોકોને પ્રભાવિત કર્યાં હતા. તેઓ એક અદભૂત અભિનેત્રી હતા અને તેઓએ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું.

શ્રીદેવીના અવસાન અંગે ફિલ્મ નિર્માતા મધુર ભંડારકરે જણાવ્યું, શ્રીદેવી માટે કઈ પણ વધારે નથી. તેઓએ બોલીવુડમાં એક દિગ્ગજ અભિનેત્રી તરીકે યાદગાર રોલ નિભાવ્યા છે. દેશભરમાં શોકની લાગણી છે.